દેશભરમાં ભારે વરસાદથી તબાહીઃ ઉત્તરાખંડમાં 57 લોકોનાં મોત
abpasmita.in | 28 Jul 2016 07:24 AM (IST)
નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં આ વરસે પણ ધોધમાર વરસાદ પડતાં ભારે તબાહી મચી ગઈ છે. રાજ્યમાં અનેક સ્થળે ભેખડો ધસી પડવાના કારણે વાહન વ્યવહાર અટકી ગયો છે. ભારે વરસાદના કારણે કેદારનાથ અને બદ્રીનાથ યાત્રાને અસર પહોંચી છે અને સંખ્યાબંધ શ્રદ્ધાળુઓ અટવાયા છે. વરાસદાને લગતી ઘટનાઓના કારણે ઉત્તરાખંડમાં 58 લોકોનાં મોત થયાં છે. ઉત્તરાખંડની સાથે સાથે હરિયાણામાં પણ વરસાદે ભારે તબાહી મચાવી છે. હરિયાણાના યમુનાનગરમાં નદીની વચ્ચે ફસાયેલા 7 લોકોને હેલીકોપ્ટરથી બચાવાયા છે.બિહારમાં પણ ભારે વરસાદે તબાહી મચાવી છે અને વરસાદના કારણે 17 લોકોનાં મોત થયાં છે અને 17 લાખ લોકોને અસર થઇ છે. નેપાળમાં ભારે વરસાદથી કોસી નદીમાં પૂર આવતાં બિહાર પર વિનાશ વરસ્યો છે. અહીં ગંગા સહિત અન્ય નદીઓ પણ બેકાંઠે છે. આ ઉપરાંત ઉતરપ્રદેશમાં પૂરપ્રકોપ ચાલુ છે. કુસીનગર વિસ્તારમાં પરિસ્થિતિ એટલી ખરાબ છે કે દર્દીને હોસ્પિટલમાં લઇ જવા હોડી લાવવી પડે છે તો આસામમાં પણ ભયાનક પૂર આવ્યુ છે. આસામમાં 19 જિલ્લાઓ જળબંબાકાર થઇ ગયા છે. તમામ નદીઓ ગાંડીતુર બની છે અને 2653 ગામ ડૂબી ગયા છે. આસામમાં 15 લાખ લોકોને અસર થઇ છે અને 1.50 લાખ લોકો રાહત શિબિરમાં આશરો લઇ રહ્યા છે.