શિમલા: દેશમાં લોકડાઉનનો ચોથો તબક્કો 31 મેના રોજ પૂર્ણ થયા બાદ હિમાચલ પ્રદેશના શિમલા, હમીરપુર અને સોલન જિલ્લામાં એક મહિના સુધી કોવિડ-19 કર્ફ્યૂ ચાલુ રહેશે. શિમલા, હમીરપુર અને સોલનના જિલ્લાઅધિકારીઓએ સોમવારે પોત-પોતાના ક્ષેત્રોમાં 30 જૂન સુધી કોવિડ-19 કર્ફ્યૂ વધારવાનો આદેશ કર્યો છે. હિમાચલ કેબિનેટે જિલ્લાને જરૂર લાગે તો કર્ફ્યૂ વધારવાનો અધિકાર આપ્યો હતો. આ જિલ્લામાં કર્ફ્યૂ અને લોકડાઉનમાં દરરોજ ઘણા કલાકોની છૂટ રહે છે. કર્ફ્યૂના સમયે આવશ્યક સેવાઓ ચાલુ રહે છે.


અધિકારીઓએ કહ્યું કે આ ચાલુ રહેશે. હિમાચલ પ્રદેશમાં કોરોના વાયરસના કુલ કેસમાંથી ચોથા ભાગના કેસ હમીરપુર જિલ્લામાં છે. રાજ્યમાં સંક્રમણના કુલ 214 કેસ સામે આવ્યા છે જેમાં હમીરપુરમાં સૌથી વધુ 63 અને સોલન જિલ્લામાં 21 કેસ છે.

રાજ્યમાં કોવિડ-19થી અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયા છે. અધિકારીઓ અનુસાર, દેશના અન્ય રાજ્યોમાં મોટી સંખ્યામાં પ્રવાસી મજૂરોના પરત ફર્યા બાદ હમીરપુરમાં કોરોના વાયરસના કેસમાં વધારો થયો છે. રાજ્યમાં આ સમયે કોરોના વાયરસના 142 દર્દીઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી ચે. જેમાંથી 57 હમીરપુરમાં છે. જિલ્લાઅધિકારી હરિકેશ મીણાએ કહ્યું છેલ્લા 30 દિવસમાં દેશના અલગ-અલગ રેડ ઝોનમાંથી 10 હજારથી વધુ લોકો હમીરપુર આવ્યા છે.

હિમાચલ પ્રદેશમાં 72 સાલની મહિલાનું કોવિડ-19થી મોત થયા બાદ રાજ્યમાં બીમારીના કારણે મૃત્યુ પામનારાની સંખ્યા પાંચ થઈ ગઈ છે. અધિકારીઓએ સોમવારે જણાવ્યું કે વધુ 10 કેસની પુષ્ટી થયા બાદ સંક્રમણના કુલ કેસની સંખ્યા 214 પર પહોંચી છે. તેમણે જણાવ્યું કે અત્યાર સુધીમાં 67 લોકો સ્વસ્થ થયા છે.