નવી દિલ્હીઃ રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર શનિવાર સવારે સાડા 10 વાગ્યે સુપ્રીમ કોર્ટ પોતાનો નિર્ણય સંભળાવશે. અયોધ્યાના નિર્ણયને લઇને ભાજપે ગઇકાલે દિલ્હીમાં બેઠક બોલાવી છે. જાણકારી અનુસાર, સવારે સાડા 10 વાગ્યે તમામ મોટા નેતાઓની બેઠક બોલાવશે. કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં અમિત શાહ સહિત તમામ મોટા નેતા સામેલ થશે.


આ વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથે રાજ્યની જનતાને અપીલ કરી છે કે તે રાજ્યમાં શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ  બનાવી રાખે. યોગીએ અપીલમાં કહ્યું કે, વહીવટીતંત્ર તમામની સુરક્ષા અને પ્રદેશમાં કાયદો વ્યવસ્થા જાળવવા માટે કટિબદ્ધ છે. કાયદો વ્યવસ્થાનો ભંગ કરનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. આવનારા નિર્ણયને હાર કે જીત સાથે જોડવામાં ના આવે. અફવાઓ પર ધ્યાન ન આપવામાં આવે.

અયોધ્યામાં કલમ 144 લાગુ કરી દેવાઇ છે. સાથે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઉત્તરપ્રદેશની યોગી સરકારે રાજ્યમાં સ્કૂલ અને કોલેજોને ત્રણ દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે.