નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસની મહામારીનો કેર યથાવત છે. દેશમાં લોકડાઉનમાં છૂટછાટ આપ્યા પછી કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. તેવા જ સમયે અનલોક-1ના ભાગરૂપે આજથી હોટલ, રેસ્ટોરન્ટ ખૂલી રહ્યા છે. પરંતુ હોટલ તથા રેસ્ટોરંટમાં જતા લોકોએ કેટલાક નિયમોનું પાલન કરવું પડશે. સરકારે આ માટેની ગાઈડલાઈન જાહેર કરી છે.


હોટલ અને રેસ્ટોરેંટ્સમાં આવવા-જવાના તમામ રસ્તા પર થર્મલ સ્ક્રીનિંગ કરવું પડશે. આ દરમિયાન સોશિયલ ડિસ્ટેન્સિંગનું પણ ધ્યાન રાખવું પડશે. સ્ટાફ અને કસ્ટમર્સ બધા માટે માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. સમગ્ર પરિસરને સેનિટાઇઝ કરતું રહેવું પડશે. તમામ ટચ પોઇન્ટને વિશેષ રીતે સાફ કરવા પડશે.

રેસ્ટોરેન્ટ્સ માટે દિશા નિર્દેશ

- સીસીટીવી વર્કિંગ મોડમાં હોવા જોઈએ.
- બિલની ચૂકવણી માટે કેશલેસ ટ્રાન્ઝેક્શનની વ્યવસ્થા હોવી જોઈએ.
- માસ્ક વગર રેસ્ટોરન્ટમાં પ્રવેશ નહીં આપવામાં આવે.
- રેસ્ટોરન્ટના સ્ટાફે હાથ અને મોં ઢાંકીને કામ કરવું પડશે
- રેસ્ટોરન્ટમાં વૃદ્ધો, ગર્ભવતી મહિલાઓ અને બાળકોને નહીં જવાની સલાહ.
- રેસ્ટોરન્ટમાં ઓર્ડર આપ્યા બાદ રાહ જોતી વખતે હાથ સાફ કરતા રહેવા પડશે.
- શેફ હોય કે વેઇટર કે પછી અન્ય કર્મચારી, તમામ નિયમોનું પાલન કરવું પડશે.
- રેસ્ટોરન્ટના AC સરકારની ગાઇડલાઇન્સ પ્રમાણે ચલાવવા પડશે.
- રેસ્ટોરન્ટમાં જતા ગ્રાહકો વચ્ચે 6 ફૂટનું અંતર જાળવી રાખવું પડશે.
- ગ્રાહકો જમીને ગયા બાદ જે સીટ પર બેઠા હોય તેને સેનિટાઇઝ કરવી પડશે.
- સારી ક્વોલિટીના પેપર નેપકિન રાખવા ફરજિયાત છે.
- રેસ્ટોરન્ટની કુલ ક્ષમતાના માત્ર 50 ટકા સીટ જ ભરી શકાશે.
- રેસ્ટોરન્ટના મેન્યુને ડિસ્પોઝેબલ ફોર્મમાં રાખવા પડશે, એટલે કે તેને સમય-સમય પર રિપીટ નહીં કરી શકાય.