નવી દિલ્લીઃ બંગાળની ખાડીમાંથી આવેલા વિનાશક વાવાઝોડા અમ્ફાને પશ્ચિમ બંગાળ-ઓરિસ્સામાં ભારે વિનાશ વેર્યો છે. આ વાવાઝોડું  બાંગ્લાદેશ તરફ આગળ વધી ગયું છે પણ એ પહેલાં પશ્ચિમ બંગાળમાં ભારે તબાહી વેરીને ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળ અને ઓડિશાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે જવા આજે સવારે રવાના થયા હતા. આ સાથે મોદી 83 દિવસ પછી દિલ્હીની બહાર નીકળ્યા છે. છેલ્લે મોદી લોકડાઉનની જાહેરાતના લગભગ એક મહિના પહેલાં 29 ફેબ્રુઆરીએ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ અને ચિત્રકૂટની મુલાકાતે ગયા હતા.


અમ્ફાન વાવાઝોડાના કારણે આસામ, અરુણાચલ પ્રદેશ અને મેઘાલયમાં શુક્રવારે ભારે વરસાદ રહેવાની શક્યતા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પશ્ચિમ બંગાળમાં મૃતકોની સંખ્યા 76 થઈ ગઈ છે. આ પૈકી 19 લોકોનાં મોત તો કોલકાતામાં જ થયા છે. બાંગ્લાદેશમાં 10 લોકોનાં મોત થયાં છે પણ આ આંકડો હજુ વધવાની શક્યતા છે. ઓડિશામાં એક પણ મૃત્યુ થયું નથી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે દિલ્હીથી કોલકાતા જવા રવાના થઈ ગયા છે. તેઓ બંગાળ-ઓરિસ્સામાં એરિયલ સર્વે કરીને નુકસાનની માહિતી મેળવશે. બંને રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પણ તે ચર્ચા કરશે.