Ratan Tata: દેશના અગ્રણી ઉદ્યોગપતિ રતન ટાટાનું મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું હતું. રતન ટાટાને કોઈ પરિચયની જરૂર નથી. ઉદ્યોગપતિ અને ટાટા સન્સના માનદ અધ્યક્ષ તેમના સારા કાર્યો માટે જાણીતા છે. આ 86 વર્ષના બિઝનેસમેન વિશે કેટલીક રસપ્રદ અને આવી ઘણી વાતો છે જેના વિશે કદાચ તમે જાણતા નહીં હોવ.


1948માં રતન ટાટા જ્યારે ફક્ત 10 વર્ષના હતા ત્યારે તેમના માતા-પિતા અલગ થઈ ગયા હતા. તેથી તેમનો ઉછેર તેમના દાદી નવાઝબાઈ ટાટાએ કર્યો હતો. નોંધનીય છે કે રતન ટાટા અપરિણીત છે. નોંધનીય છે કે ચાર વખત તેમના લગ્ન થતા થતા રહી ગયા હતા પરંતુ વિવિધ કારણોસર તેમ કરી શક્યા ન હતા.


કઇ બાબતને લઇને પિતા સાથે થયા મતભેદ


રતન ટાટાએ 'હ્યુમન્સ ઓફ બોમ્બે'ને આપેલા ઈન્ટરવ્યૂમાં પિતા સાથેના મતભેદોનો ઉલ્લેખ કર્યો હતો. તેઓ તેમના પિતા નવલ ટાટાની બહુ નજીક નહોતા. બંને વચ્ચે ઘણી બાબતો પર મતભેદ હતા. તેઓ બાળપણમાં વાયોલિન શીખવા માંગતા હતા, પરંતુ તેમના પિતા ઇચ્છતા હતા કે તે પિયાનો શીખે. આ અંગે બંને વચ્ચે મતભેદ હતા. આ સિવાય ટાટા ઈચ્છતા હતા કે તેઓ અમેરિકા જઇને અભ્યાસ કરે પરંતુ તેમના પિતા તેમને બ્રિટન અભ્યાસ માટે મોકલવવા માંગતા હતા. ટાટા પોતે આર્કિટેક્ટ બનવા માંગતા હતા પરંતુ તેમના પિતાએ એન્જિનિયર બનવાનો આગ્રહ રાખ્યો હતો.


જો ભારત-ચીન યુદ્ધ ન થયું હોત તો ટાટાના લગ્ન થયા હોત


તેમણે એકવાર સ્વીકાર કર્યો હતો કે જ્યારે તેઓ લોસ એન્જલસમાં કામ કરતા હતા ત્યારે એક સમય એવો આવ્યો જ્યારે તેમને પ્રેમ થઇ ગયો હતો પરંતુ 1962ના ભારત-ચીન યુદ્ધને કારણે છોકરીના માતા-પિતા તેને ભારત મોકલવાના વિરોધમાં હતા. જે પછી તેમણે ક્યારેય લગ્ન કર્યા નથી. આ પછી રતન ટાટા બિઝનેસની દુનિયામાં ડૂબી ગયા અને પછી તેમના અંગત જીવન વિશે વિચારવાનો મોકો ન મળ્યો.


ચેરમેન બનતા જ 3 લોકોને કંપનીમાંથી કાઢી મુક્યા


વર્ષ 1991માં રતન ટાટા પ્રથમ વખત ટાટા સન્સના ચેરમેન બન્યા. આ પહેલા જેઆરડી ટાટા કંપનીના ચેરમેન હતા. જેઆરડીએ ત્રણ લોકોને જ કંપનીની સંપૂર્ણ કમાન્ડ આપી હતી. આ ત્રણેય બધા નિર્ણયો લેતા હતા. જ્યારે રતન ટાટા ચેરમેન બન્યા ત્યારે તેમણે સૌથી પહેલું કામ આ ત્રણને હટાવીને કંપનીનું નેતૃત્વ બદલવાનું નક્કી કર્યું. તેમને લાગતું હતું કે આ ત્રણેયે કંપની પર પોતાનો કબજો જમાવી લીધો છે.


રતન ટાટા એક રિટાયરમેન્ટ પોલિસી લઇને આવ્યા. જે હેઠળ કંપનીના બોર્ડમાંથી કોઈપણ ડિરેક્ટરને 75 વર્ષની ઉંમર બાદ હટવું પડશે. આ પોલિસી લાગુ થયા બાદ સૌ પ્રથમ ત્રણેયે પદ છોડવું પડ્યું હતું.


નોંધનીય છે કે 2009માં તેમણે સૌથી સસ્તી કાર બનાવવાનું વચન આપ્યું હતું જેને ભારતનો મધ્યમ વર્ગ ખરીદી શકે. તેણે પોતાનું વચન પાળ્યું અને 1 લાખ રૂપિયામાં ટાટા નેનો લોન્ચ કરી હતી. તેઓ તેમના ચેરિટી માટે પણ જાણીતા છે. તેમના નેતૃત્વ હેઠળ ટાટા ગ્રુપે ભારતમાં સ્નાતક વિદ્યાર્થીઓને નાણાકીય સહાય પૂરી પાડવા માટે કોર્નેલ યુનિવર્સિટી ખાતે 28 મિલિયન ડોલરનું ટાટા સ્કોલરશિપ ફંડ શરૂ કર્યું હતું.


Ratan Tata : રાજકીય સન્માન સાથે કરાશે રતન ટાટાના અંતિમ સંસ્કાર, મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કરી જાહેરાત