નવી દિલ્હીઃ આખા દેશને ઝકઝોળ કરી મુકનાર હૈદરાબાદ ગેંગરેપ કાંડનો મુદ્દો આજે સંસદમાં ઉઠ્યો હતો. રાજ્યસભામાં સભાપતિ વૈંકેયા નાયડુની હાજરીમાં સાંસદોએ આ મુદ્દે જોરદાર ચર્ચા કરી અને પીડિતાના પરિવારને જલ્દીમાં જલ્દી ન્યાય અપાવવાની માંગ કરી.


સંસદમાં હૈદરાબાદ ગેંગરેપ કાંડનો મુદ્દો જબરદસ્ત રીતે ગુંજ્યો, રાજ્યસભાના સાંસદોએ આવા જઘન્ય અપરાધોને ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવાની અને સખત સજા અપાવવાની માંગ કરી હતી. આ મુદ્દા પર બપોરે ચર્ચા થઇ.

ચર્ચાની શરૂઆત નેતા વિપક્ષ અને કોંગ્રેસ સાંસદ ગુલામ નબી આઝાદે કરી, તેમને કહ્યું કે, કોઇપણ રાજ્ય કે સરકાર નથી ઇચ્છતી કે તેમના રાજ્યમાં આવી ઘટનાઓ થાય. આપણે ઘણાબધા કાયદાઓ બનાવ્યા પણ માત્ર કાયદાઓ બનાવવાથી સમસ્યાઓ હલ નથી થઇ જતી. આ બિમારીને જડમૂળમાંથી કાઢવા માટે આખા સમાજે ઉભુ થવુ પડશે.

હૈદરાબાદ ગેંગરેપ કાંડ મુદ્દાને લઇને સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને પણ પોતાનો મત રજૂ કર્યો, તેમને કહ્યું કે હવે બહુ થઇ ગયુ સરકારે હવે કાર્યવાહી કરવી પડશે. દોષીઓને હવે લોકો જ સબક શીખવાડશે, કેમકે કેટલાય દેશોમાં લોકો આવા દોષીઓને સજા આપે છે.

ચર્ચા દરમિયાન વૈંકેયા નાયડુએ કહ્યું કે, આ માટે બિલની જરૂર નથી. તેમને કહ્યું કે મહિલા સુરક્ષા પર નવા બીલની જરૂર નથી. જે આવશ્યક છે તે રાજકીય ઇચ્છાશક્તિ, તંત્રનુ કૌશલ, માનસિકતામાં બદલાવ છે. વળી બીજીબાજુ કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે આ મહિલાઓ વિરુદ્ધના અપરાધો સામે કાયદા બનાવવા અમે તૈયાર છીએ.