નવી દિલ્હીઃ તેલંગાનાના હૈદ્રાબાદમાં 27 નવેમ્બરે થયેલ પશુ ડોક્ટર મહિલા સાથે રેપ અને મર્ડરના ચારમાંથી બે આરોપી 9 અન્ય મહિલાઓ સાથે પણ આવું કરી  ચૂક્યા હતા. આ દાવો હૈદ્રાબાદ રેપ-મર્ડરની તપાસ કરનારી પોલીસે કર્યો છે. તેમનું કહેવું છે કે, પૂછપરછ દરમિયાન આ બન્ને આરોપીઓએ સ્વીકાર્યું હતું કે તેમણે અન્ય નવ મહિલાઓ સાથે રેપ કર્યા બાદ તેમને સળગાવી દીધી હતી. બાદમાં આ ચારેય હૈદ્રાબાદ પોલીસના એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા.


હાલમાં સાઇબરાબાદ પોલીસે આરોપી પાસેથી મળેલી જાણકારી અનુસાર કર્ણાટકમાં તપાસ શરૂ કરી છે. કારણ કે તેમાંથી કેટલીક ઘટનાઓ, તેલંગાના-કર્ણાટકના સરહદી વિસ્તારમાં થઈ હતી. નોંધનીય ચે કે, મોહમ્મદ આરિફ, જે નવીન, જે શિવા અને ચેન્નાકેશવુલૂએ મહિલા પશુ ડોક્ટર સાથે રેપ કર્યો હતો અને બાદમાં તેને જીવતી સળગાવી હતી.

તપાસ દરમિયાન બે આરોપીઓએ જણાવ્યું કે તેઓએ પહેલા પણ 9 મહિલાઓ સાથે દુષ્કર્મ કર્યું હતું અને તેમને સળગાવીને હત્યા કરી હતી. અધિકારીએ જણાવ્યું કે અમારી ટીમ દરેક કેસની તપાસ કરી રહી છે. તેથી અલગ-અલગ સ્થળો પર અમે અનેક તપાસ ટીમો મોકલી છે.

તેલંગાના પોલીસે દાવો કર્યો કે આરોપી આરિફે 6 મહિલાઓ સાથે દુષ્કર્મ અને તેમની હત્યા કરી હતી. જ્યારે ચેન્નાકેશવવુલૂ ત્રણ મહિલાઓ સાથે દુષ્કર્મ કરીને તેમની હત્યા કરી હતી. તપાસ અધિકારીઓ મુજબ આરોપીઓએ આ તમામ ઘટનાઓને તેલંગાનાના સંગા રેડ્ડી, રંગા રેડ્ડી અને મહબૂબનગર હાઈવે અને કર્ણાટકના સરહદી શહેરોમાં અંજામ આપ્યો હતો.