હું FIRથી નથી ડરતો, કેજરીવાલનો મોદી પર પલટવાર
abpasmita.in | 21 Jun 2016 11:48 AM (IST)

નવી દિલ્લીઃ વૉટર ટેંકર કૌભાંડમાં એફઆઇઆર દાખલ કરવામાં આવ્યા બાદ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી પર પલટ વાર કર્યો છે. કેજરીવાલે જણાવ્યું હતું કે, મોદીને જેટલા કેસ કરવા હોય તેટલા કરી લે, તપાસ કરાવી લે, તો પણ અમને ડરાવી નહી શકે. કેજરીવાલે કહ્યું હતું કે, જેવી રીતે સીબીઆઇ રેડમાં કંઇ જ નહોતું મળ્યું તેમ એફઆઇઆરમાં પણ કંઇ જ નહી મળે. હું રેડ અને એફઆઇઆરથી નથી ડરતો. તમે બધાને ડરાવી શકો છો, પરંતુ હું નરેંદ્ર મોદી સામે પહાડની જેમ ઉભો છું. હું નથી ડરવાનો, અને નથી ઝુકવાનો. કેજરીવાલે કહ્યું હતું કે, મોદી વાડ્રા, સોનિયા ગાંધ, રાહુલ ગાંધી વિરુદ્ધ કોઇ પગલા નથી લેતા, તેમની સામે એફઆઇઆર નથી કરવામાં આવતી. તેમને ફક્ત હું જ નજર આવું છું. વાડ્રા પર સીબીઆઇ કેમ રેડ નથી પાડતી. મોદીની સીધી લડત મારી સાથે છે. હું રાહુલ ગાંધી નથી, મરી જઇશ પણ ખોટુ સહન નહિ કરું. કેજરીવાલે જણાવ્યું હતું કે, મોદી રક્ષા ક્ષેત્રમાં એફડીઆઇ લાવીને દેશને વેચવા માગે છે. પરંતું હું દેશના લોકો સાથે છું. હું કિસાનો માટે લડાઇ લડતો રહીશ.