Galwan Valley: ગલવાન ઘાટીમાં હિંસક અથડામણો પછી વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ઝડપી તૈનાત માટે ભારતીય વાયુસેના દ્વારા 68,000 થી વધુ સૈનિકો, લગભગ 90 ટેન્ક અને અન્ય શસ્ત્ર પ્રણાલીઓને દેશભરમાંથી પૂર્વીય લદ્દાખમાં મોકલવામાં આવી હતી. સંરક્ષણ અને સુરક્ષા સંસ્થાનના ટોચના સૂત્રોએ આ માહિતી આપી હતી.


તેમણે માહિતી આપી હતી કે 15 જૂન, 2020 ના રોજ બંને પક્ષો વચ્ચેના સૌથી ગંભીર સૈન્ય અથડામણની પૃષ્ઠભૂમિમાં, ભારતીય વાયુસેનાએ ફાઇટર જેટની ઘણી સ્ક્વોડ્રનને 'તૈયાર સ્થિતિમાં' રાખવા ઉપરાંત , એ દુશ્મનના અડ્ડા પર ચોવીસ કલાક દેખરેખ અને ગુપ્ત માહિતી એકત્ર કરવા માટે તેના Su-30 MKI અને જગુઆર ફાઇટર એરક્રાફ્ટને આ વિસ્તારમાં તૈનાત કર્યા છે.


IAF ની વ્યૂહાત્મક 'એરલિફ્ટ' ક્ષમતા છેલ્લા વર્ષોથી કેવી રીતે વધી છે તેનો ઉલ્લેખ કરતા, સૂત્રોએ જણાવ્યું હતું કે એક વિશેષ ઓપરેશન હેઠળ, સૈનિકો અને શસ્ત્રો IAF ના પરિવહન કાફલા દ્વારા LAC સાથેના વિવિધ મુશ્કેલ વિસ્તારોમાં ઓછા સમયમાં પહોંચાડવામાં આવ્યા છે.


 




તેમણે કહ્યું કે વધતા તણાવને કારણે વાયુસેનાએ ચીનની ગતિવિધિઓ પર નજર રાખવા માટે આ વિસ્તારમાં મોટી સંખ્યામાં રિમોટથી ઓપરેટેડ એરક્રાફ્ટ (RPA) તૈનાત કર્યા હતા. તેમણે કહ્યું કે IAF વિમાનોએ ભારતીય સેનાના કેટલાક વિભાગોને 'એરલિફ્ટ' કર્યા, જેમાં કુલ 68,000 થી વધુ સૈનિકો, 90 થી વધુ ટેન્ક, પાયદળના લગભગ 330 BMP લડાકુ વાહનો, રડાર સિસ્ટમ્સ, તોપો અને અન્ય ઘણા સાધનો સામેલ હતા.


તેમણે કહ્યું કે IAF ના પરિવહન કાફલા દ્વારા કુલ 9,000 ટન ઉપાડવામાં આવ્યા હતા અને આ IAFની વધતી જતી વ્યૂહાત્મક 'એરલિફ્ટ' ક્ષમતાઓને દર્શાવે છે. C-130J સુપર હર્ક્યુલસ અને C-17 ગ્લોબમાસ્ટર એરક્રાફ્ટ પણ આ કવાયતમાં સામેલ હતા.


અથડામણ બાદ, રાફેલ અને મિગ-29 એરક્રાફ્ટ સહિત મોટી સંખ્યામાં ફાઇટર જેટને હવાઈ પેટ્રોલિંગ માટે તૈનાત કરવામાં આવ્યા હતા, જ્યારે IAFના વિવિધ હેલિકોપ્ટરને પર્વતીય ઠેકાણા પર દારૂગોળો અને લશ્કરી સાધનો એરલિફ્ટ કરવા માટે સેવામાં લગાવવામાં આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે Su-30 MKI અને જગુઆર ફાઈટર જેટની સર્વેલન્સ રેન્જ લગભગ 50 કિમીની હતી અને તેઓએ સુનિશ્ચિત કર્યું કે ચીની સૈનિકોની સ્થિતિ અને હિલચાલ પર નજીકથી નજર રાખવામાં આવી હતી.


તેમણે જણાવ્યું હતું કે IAF એ વિવિધ રડાર સ્થાપિત કરીને અને પ્રદેશમાં LAC સાથે આગળના સ્થાનો પર માર્ગદર્શિત સપાટીથી હવામાં શસ્ત્રો ગોઠવીને તેની હવાઈ સંરક્ષણ ક્ષમતાઓ અને લડાયક તૈયારીઓને ઝડપથી વધારી છે. ભારતના એકંદર અભિગમનો ઉલ્લેખ કરતા, સૂત્રોએ જણાવ્યું હતું કે વ્યૂહરચના લશ્કરી સ્થિતિને મજબૂત બનાવવા, વિશ્વસનીય દળોને જાળવી રાખવા અને કોઈપણ ઘટનાનો અસરકારક રીતે સામનો કરવા માટે દુશ્મનના નિર્માણ પર દેખરેખ રાખવાની હતી.