નવી દિલ્હીઃ પાકિસ્તાનના બાલાકોટમાં જૈશના કેમ્પર પર એર સ્ટ્રાઈક પાડોશી દેશ અને કોંગ્રેસના સવાલોની વચ્ચે વાયુસેનાએ સોમવારે સ્પષ્ટ કર્યું કે, બોમ્બ ટાર્ગેટ પર ફેંકવામાં આવ્યા હતા. વાયુસેના અધ્યક્ષ ધનોઆએ કહ્યું કે, જો એવું થયું ન હતું તો પછી આ મામલે સત્તાવારા નિવેદન કેમ જારી કર્યું હતું.


સોમવારે એર ચીફ માર્શલ બીએસ ધનોઆએ કહ્યું કે, વાયુસેનાનું કામ પોતાના ટાર્ગેટને હિટ કરવાનું છે. અમે એ નથી ગણતા કે કેટલું નુકસાન થયું. તેમણે સ્પષ્ટ કહ્યું કે, અમને જે પણ ટાર્ગેટ મળે છે અમે તેને નષ્ટ કરીએ છીએ.

સોમવારે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતાં તેમણે કહ્યું કે, જો અમારા ટાર્ગેટ યોગ્ય ન હતા અને માત્ર જંગલમાં બોમ્બ ફેંક્યા તો પાકિસ્તાન તરફથી જવાબ કેમ આવ્યો. તેમણે કહ્યું કે, નુકસાન કેટલું થયું છે તેનો આંકડો સરકાર જ જારી કરી શકે છે.



આ એરસ્ટ્રાઈકમાં મિગ-21નો ઉપયોગ શા માટે કર્યો. તેના પર વાયુસેના પ્રમુખે જવાબ આપ્યો કે, મિગ-21 અમારું એક કારગર વિમાન છે, જેને અપગ્રેડ કરવામાં આવ્યું છે. આ વિમાન પાસે સારી રડાર સિસ્ટમ છે.

તેમણે કહ્યું કે, જે પણ વિમાન અમારી પાસે છે, અને તેને લડાઈમાં ઉપયોગ કરીએ છીએ. બીએસ ધનોઆએ એ પણ કહ્યું કે, હાલમાં અમારું ઓપરેશન જારી છે, માટે વધારે જાણકારી બધાની સામે ન રાખી શકીએ.

પાકિસ્તાનનું વિમાન નષ્ટ કરનાર વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન પર તેમણે કહ્યું કે, તેની ફિટનેસની તપાસ ચાલી રહી છે, જો તે ફિટ હશે તો તે ફરી લડાકૂ વિમાન ઉડાવી શકે છે.