કોરોના વાયરસની બીજી લહેર વચ્ચે હાલના સમયમાં દેશમાં વેક્સિનની અછત વચ્ચે 18થી 44 વર્ષના લોકો માટે વેક્સિનેશનને લઈ મુશ્કેલી આવી રહી છે. આજ કારણ છે કે હાલ કોરોના સામેની લડાઈ નબળી પડી રહી છે. આઈસીએમઆઈનું માનીએ તો દેશમાં વેક્સિનની અછત ખૂબ જ ઓછા સમયમાં દૂર થશે. 


આઈસીએમઆરના મહાનિર્દેશક ડૉ બલરામ ભાર્ગવે કહ્યું કે કોરોના વેક્સિનની કોઈ અછત નથી. જુલાઈના મધ્ય અથવા ઓગસ્ટ સુધી આપણે ત્યાં દરરોજ એક કરોડ લોકોને વેક્સિનેટ કરવા માટે પર્યાપ્ત ડોઝ હશે. તેમણે કહ્યું  અમે એ વાતને લઈને આશ્વસ્ત છીએ કે દેશમાં તમામ લોકોને ડિસેમ્બર સુધીમાં વેક્સિનેટ કરી દઈશું.


કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે કહ્યું કે દેશમાં અત્યાર સુધીમાં કોવિડ 19 રસીના 21.58 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે સોમવારે 18-44 વર્ષના 12,23,596 લોકોને રસીનો પ્રથમ ડોઝ અને 13,402 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.


મંત્રાલયે કહ્યું કે દેશમાં રસીકરણના ત્રીજા તબક્કાની શરુઆતથી  અત્યાર સુધીમાં 2 કરોડ 02 લાખ 10 હજાર 889 લોકોને કોવિડ 19 રસીનો પ્રથમ ડોઝ અને 23 હજાર 491 લોકોએ બીજો ડોઝ લઈ લીધો છે. 


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના બ્રીફિંગમાં જણાવ્યું કે, એક્ટિવ કેસમાં 50 ટકાનો ઘટાડો થયો છે. એક દિવસમાં 1.3 લાખ એક્ટિવ કેસ ઘટ્યા છે. 30 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો એવા છે જ્યાં છેલ્લા એક સપ્તાહથી કેસમાં ઘટાડો થઈ રહ્યો છે, જે પોઝિટિવ ટ્રેન્ડ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યુ- છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,27,000 કેસ સામે આવ્યા છે. 28 મેથી નવા કેસ બે લાખની નીચે રહ્યાં છે. સંક્રમણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. લવ અગ્રવાલે કોરોનાના આંકડાની જાણકારી આપતા કહ્યું- કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા દરરોજ નોંધાતા કેસ કરતા વધુ છે. 92 ટકા રિકવરી રેટની સાથે એવરેજ ટેસ્ટિંગની સંખ્યા 20 લાખે પહોંચી ગઈ છે. 


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1,27,510 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો2,81,75,044 પર પહોંચી ગયો છે. જેમાંથી 18,95,520 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે.