ભારતે ટીબીની તપાસ માટે સ્વદેશી પોર્ટેબલ એક્સ-રે મશીનનું બનાવીને આ બીમારી સામેની લડાઈમાં મોટી સિદ્ધિ મેળવી છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના ડાયરેક્ટર જનરલ ડૉ. રાજીવ બહલે જણાવ્યું હતું કે પોર્ટેબલ એક્સ-રે મશીનથી ટીબીની જલદી ઓળખ થઇ શકશે અને સમયસર સારવાર પણ સુનિશ્ચિત કરશે.


ટીબી ટેસ્ટ ઘરે પણ કરી શકાય છે


ડ્રગ રેગ્યુલેટરી ઓથોરિટીઝ ઈન્ડિયા 2024ની ઈન્ટરનેશનલ કોન્ફરન્સ દરમિયાન ICMR ડાયરેક્ટર જનરલે કહ્યું કે એક્સ-રે મશીનો ખૂબ જ મોંઘા છે, પરંતુ આઈઆઈટી કાનપુરની ભાગીદારીમાં ICMRએ હવે સ્વદેશી એક્સ-રે મશીનો વિકસાવ્યા છે જેની કિંમત વિદેશી મશીનોની સરખામણીમાં અડધી છે. આ મશીનથી ટીબીનો ટેસ્ટ ઘરે પણ કરી શકાય છે.


ડૉ. બહલે જણાવ્યું હતું કે ભારતે MPAX નું પરીક્ષણ કરવા માટે ટેસ્ટ કીટ પણ વિકસાવી છે. ડેન્ગ્યુની રસી પણ ટૂંક સમયમાં લોન્ચ થવાની આશા છે. તેમણે કહ્યું કે, અમે ડેન્ગ્યુની રસીના ત્રીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ કરી રહ્યા છીએ. એક વર્ષમાં પરિણામ આવશે તેવી અપેક્ષા છે.


ઇન્સ્ટિટ્યૂટ ઑફ નેનો સાયન્સ એન્ડ ટેક્નોલોજી (INST), મોહાલીના વૈજ્ઞાનિકોએ પ્રથમ વખત ટીબીની દવાઓ નાક દ્વારા મગજમાં સીધી પહોંચાડવાની એક પદ્ધતિ વિકસાવી છે. મગજને અસર કરતા ટીબીને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ટીબી (CNS-TB) કહેવાય છે. આ એક સૌથી ખતરનાક ટીબી છે.


ટીબીના બેક્ટેરિયાને હજાર ગણા સુધી ઘટાડી શકે છે


આ પદ્ધતિથી દવાઓ લેવાથી મગજમાં ટીબી બેક્ટિરીયાને હજાર ગણા સુધી ઘટાડી શકે છે. આ માટે INST ટીમે ચિટોસન નામના કુદરતી પદાર્થમાંથી બનેલા નેનોપાર્ટિકલ્સનો ઉપયોગ કર્યો હતો. નવી સારવાર પદ્ધતિ મગજ ટીબીથી પીડિત લોકોની સારવારમાં સુધારો કરવાની ક્ષમતા ધરાવે છે. આ પદ્ધતિનો ઉપયોગ મગજના અન્ય ચેપ, અલ્ઝાઈમર અને પાર્કિન્સન જેવા રોગો, મગજની ગાંઠો અને વાઈની સારવાર માટે થઈ શકે છે.                                                                      


કેન્સર માત્ર કોશિકાઓના ગ્રોથથી જ નહીં પરંતુ વાયરસના કારણે પણ થાય છે, વિશ્વાસ ન હોય તો વાંચો આ સમાચાર