નવી દિલ્હીઃ કોરોનાના કહેર વચ્ચે હવામાન વિભાગે ચોમાસને લઈ મોટી આગાહી કરી છે. હવામાન વિભાગે ચાલુ વર્ષે ચોમાસા અંગે જાણકારી આપતાં કહ્યું કે, દેશમાં આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેશે. હવામાન વિભાગે બુધવારે જૂનથી સપ્ટેમ્બર વચ્ચે લાંબાગાળાના દક્ષિણ-પશ્ચિમ મોનસૂનને લઈ લાંબાગાળાના વરસાદની પ્રથમ ભવિષ્યવાણી જાહેર કરી હતી.


પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ માધવન રાજીવને જાણકારી આપતાં કહ્યું કે, ચાલુ વર્ષે ચોમાસુ  લાંબાગાળા માટે સરેરાશ 100 ટકા રહેવાની આશા છે. ચોમાસુ સામાન્ય રહેશે. પરિણામે ચાલુ વર્ષે ખેડૂતો અને આમ આદમીએ વરસાદને લઈ ચિંતા કરવાની જરૂર નથી.



હવામાન વિભાગ દ્વારા દર વર્ષે લાંબાગાળાના ચોમાસાની આગાહી કરવામાં આવે છે. જેમાં દેશમાં વરસાદનો અંદાજ વ્યક્ત કરવામાં આવે છે. આ પહેલા એક ખાનગી એજન્સીએ પણ ચાલુ વર્ષે હવામાનની ભવિષ્યવાણી કરી હતી. જેમાં પણ સારા ચોમાસાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગત વર્ષે 96 ટકા વરસાદની આગાહી કરવામાં આવી હતી.

ભારતીય અર્થતંત્રમાં ચોમાસાનો રોલ મહત્વનો છે. દેશમાં થતા કુલ વરસાદનો 70 ટકા હિસ્સો ચોમાસાનો હોય છે. કપાસ, મગફળી, તલ, એરંડા, ચોખા, સોયાબીન જેવા પાક ચોમાસા પર નિર્ભર છે.