IMD monsoon forecast 2026: ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આ વર્ષના ચોમાસા અને હવામાનને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. આ વર્ષે દેશમાં સરેરાશના 90 ટકા વરસાદ પડવાની સંભાવના છે. એક તરફ દિલ્હી અને NCR માં વરસાદી માહોલ બનતા લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, તો બીજી તરફ યુપી અને રાજસ્થાનમાં હજુ પણ 47 ડિગ્રીથી વધુ તાપમાન સાથે હીટવેવનો પ્રકોપ ચાલુ છે. આ ઉપરાંત દક્ષિણમાં આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે 4 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે હવામાન વિભાગે સપ્ટેમ્બર સુધીમાં 'અલ નીનો' (El Nino) ની અસર વધવાની ચિંતાજનક ચેતવણી પણ આપી છે.
ચોમાસાને લઈને શું છે આગાહી?
શુક્રવારે 29 મેના રોજ IMD એ જણાવ્યું હતું કે, આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની ઋતુ દરમિયાન ભારતમાં લાંબા ગાળાની સરેરાશના 90 ટકા વરસાદ થવાની સંભાવના છે. ઉત્તર-પૂર્વ ભારતના વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડવાની ધારણા છે, જ્યારે દેશના અન્ય મોટાભાગના ભાગોમાં સામાન્ય કરતા ઓછો વરસાદ પડી શકે છે.
દિલ્હી-NCR માં વરસાદથી ગરમીમાં ઘટાડો
દિલ્હી અને આસપાસના વિસ્તારોની (NCR) વાત કરીએ તો, અહીં રાતોરાત પડેલા વરસાદ અને ભારે પવનોએ લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટો હાશકારો આપ્યો છે. વાવાઝોડા અને ફૂંકાયેલા ભારે પવનના કારણે રાષ્ટ્રીય રાજધાનીના તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સેલ્સિયસનો મોટો ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગે દિલ્હી માટે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કર્યું છે, જેમાં આગામી બે દિવસ સુધી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની, વીજળી પડવાની અને વાવાઝોડા સાથે વરસાદની આગાહી છે. ચોમાસા પહેલાના આ વરસાદ (પ્રિ-મોન્સૂન શાવર) નો સિલસિલો 31 મે સુધી ચાલુ રહે તેવી સંભાવના છે.
આ પણ વાંચોઃ હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાક ગુજરાત માટે ભારે! ગુજરાતના આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ
યુપી-રાજસ્થાન હજુ પણ ગરમીમાં શેકાયા
દિલ્હીને ભલે ગરમીથી રાહત મળી હોય, પરંતુ દેશના ઘણા રાજ્યોમાં હીટવેવ (ગરમીના મોજા) ની સ્થિતિ હજુ પણ યથાવત છે. ઉત્તર પ્રદેશના બાંદામાં આ સિઝનનું સૌથી વધુ તાપમાન 47.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તો બીજી તરફ રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં પણ આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે અને ત્યાં તાપમાન 47.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.
આંધ્ર પ્રદેશમાં ભારે તબાહી, તમિલનાડુમાં રાહત
દક્ષિણ ભારતમાં હવામાન અલગ જ મિજાજ બતાવી રહ્યું છે. ભારે વરસાદ અને તોફાની પવનના કારણે આંધ્ર પ્રદેશમાં ભારે વિનાશ સર્જાયો છે, જ્યાં વરસાદને લગતી અલગ-અલગ ઘટનાઓમાં 4 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. જ્યારે તમિલનાડુમાં ઉનાળાનો સૌથી આકરો તબક્કો (જેને ત્યાં 'અગ્નિ નાચત્રમ' કહેવાય છે) પૂરો થતા જ હવે વરસાદ અને તાપમાનમાં ધીમે-ધીમે ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ ભારે ઉકળાટ વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આ જિલ્લાઓમાં તૂટી પડ્યો વરસાદ
અલ નીનો (El Nino) વધવાની ચેતવણી
આ બધાની વચ્ચે, ખેડૂતો માટે એક ચિંતાના સમાચાર પણ છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે જૂન મહિનામાં નબળી 'અલ નીનો' સ્થિતિ વિકસી શકે છે. આ સ્થિતિ ધીમે-ધીમે વધુ મજબૂત બનીને સપ્ટેમ્બર સુધીમાં એકદમ તીવ્ર બની શકે છે, જેની સીધી અસર ચોમાસાના પાછલા ભાગમાં (ઉત્તરાર્ધમાં) વરસાદની પેટર્ન પર પડશે.
