નવી દિલ્હીઃ દિલ્હીના શાહીનબાગમાં પ્રદર્શનકારીઓ સાથે વાતચીત કરવા માટે સુપ્રીમ કોર્ટ દ્ધારા નિયુક્ત મધ્યસ્થીઓમાંથી એક વઝાહત હબીબુલ્લાહે કોર્ટમાં એક એફિડેવિડ દાખલ કરી છે. એએનઆઇએના મતે વઝાહત હબીબુલ્લાહે પોતાની એફિડેવિટમાં કહ્યું કે નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ શાહીન બાગમાં વિરોધ શાંતિપૂર્ણ છે. પોલીસે શાહીન બાગની આસપાસના પાંચ સ્થળો પર નાકાબંધી કરી છે. જો આ અવરોધોને હટાવવામાં આવે તો ટ્રાફિક સામાન્ય થઇ જશે. પોલીસે બિનજરૂરી રીતે રસ્તાને અવરોધ કર્યો છે જેના કારણે લોકોને સમસ્યા થઇ રહી છે.


રોડ નંબર 13એ જે દિલ્હીને નોઇડા સાથે જોડે છે, છેલ્લા 68 દિવસોથી આંદોલનકારીઓ દ્ધારા વૃદ્ધ મહિલાઓના નેતૃત્વમાં નાગરિકતા સંશોધનનો વિરોધ કરતા અવરોધ પેદા થયો છે. નાકાબંધીના કારણે આશ્રમની આસપાસ અને દક્ષિણી દિલ્હીના કેટલાક હિસ્સામાં વ્યાપક પ્રમાણમાં ટ્રાફિક જામ થઇ જાય છે.

નોંધનીય છે કે શાહીન બાગમાં ચાલી રહેલા ધરણા પ્રદર્શનને લઇને લગાવાયેલી અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે વરિષ્ઠ વકીલો સંજય હેગડે, સાધના રામચંદ્રન અને પૂર્વ મુખ્ય સૂચના કમિશનર વઝાહત હબીબુલ્લાહને 17 ફેબ્રુઆરીના રોજ મધ્યસ્થી તરીકે નિયુક્ત કર્યા હતા. મધ્યસ્થીઓ શાહીન બાગ ગયા હતા અને પ્રદર્શનકારીઓ સાથે વાતચીત પણ કરી રહ્યા છે.