કેન્દ્રીય સામાન્ય બજેટ ૨૦૨૨-૨૩ પર માહિતી આપતા કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવિયાએ જણાવેલ કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીજીએ કેન્દ્રીય સામાન્ય બજેટથી ફરી એકવાર સર્વાંગી વિકાસ થકી ભારતને વિશ્વનાં વિકસીત દેશોની હરોળમાં તેજીથી લાવવાની પ્રતિબદ્ધતાને દોહરાવી છે.


માત્ર સાત વર્ષનાં ગાળામાં બજેટનું કદ રૂ.૧૬.૬૫ લાખ કરોડથી વધારીને રૂ.૩૯.૪૫ લાખ કરોડ કરવું એ આસાન કાર્ય નથી. બજેટનું કદ વધવાથી જાહેર ખર્ચ વધે છે અને સાથે જ તેજી થી વિકસિત થાય  છે દેશના વિવિધ ધંધાકીય ક્ષેત્રો અને રોજગાર.સામાન્ય બજેટમાં આગામી ૨૫ વર્ષનાં અમૃત કાળને ધ્યાને રાખીને આત્મનિર્ભરતાનો એક મજબૂત પાયો નાંખવામાં આવેલ છે. આ બજેટ ગ્રોથ, સર્વ સમાવેશ, ટેકનોલોજી આધારિત વિકાસ અને રોકાણ વધારવા પર કેન્દ્રિત છે.          


સામાન્ય બજેટનો એક પાયો છે સર્વ સમાવેશી વિકાસ. દેશના કરોડો ખેડૂતોના આર્થિક ઉત્થાન માટે ઘણી મહત્વની જોગવાઈઓ કરવામાં આવી છે. આઝાદી પછી સૌથી વધું ઘઉં અને ચોખાની ટેકાના ભાવે ખરીદી ખરીફ સીઝન ૨૦૨૧-૨૨માં રૂ. ૨.૩૭ લાખ કરોડના ખર્ચે કરવામાં આવશે. કેમિકલ ફ્રી ફાર્મિંગને ઉત્તેજન આપવામાં આવશે સાથે જ વિવેકપૂર્ણ કેમિકલનો ઉપયોગ થાય તે માટે ડ્રોન આધારિત કૃષિ વ્યવસ્થા વિકસાવવામાં આવી રહી છે. ખેડૂતોના ખેત ઉત્પાદનને પ્રોસેસ કરીને વેલ્યુ એડીશન કરે તે માટે માઈક્રો ફૂડ પ્રોસેસિંગ યુંનીતાને આર્થિક સહાય આપવામાં આવી રહી છે. ખેડૂત અને કૃષિ આધુનિક બને તે માટે પણ રીસર્ચ અને વિકાસમાં પ્રાઈવેટ સેક્ટરને પણ જોડવામાં આવશે. આ બજેટમાં પણ કિસાન સમ્માન નિધિ માટે રૂ. ૬૮૦૦૦ કરોડ જેટલી ઐતિહાસિક જોગવાઈ કરવામાં આવી છે.


આ બજેટમાં ચાર મહત્વની બાતો મને સમજાય છે તેની વાત કરૂ તો,આ બજેટથી સરકારે સાબિત કર્યું છે કે અમે સમસ્યાને ભવિષ્ય પર છોડનારા નથી. સમસ્યાથી ભાગનાર પણ નથી. સમસ્યાનો સામનો કરીને તેનું સમયસર સમાધાન કરવા સરકાર પ્રતીબદ્ધ છે.મારા આરોગ્ય મંત્રાલયની વાત કરું તો કોવિડ પછી ખુબ મોટા પ્રમાણે ‘મેન્ટલ હેલ્થ’ના ઇસ્યુ સામે આવી રહ્યા છે. મેન્ટલ હેલ્થ એ ખુબ મોટી સમસ્યા તરીકે ઊભી થઇ રહી છે, આ બજેટમાં મેન્ટલ હેલ્થ કાઉન્સીલ માટે ‘નેશનલ ટેલી-મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ’ની શરૂઆત કરેલ છે, તો સાથે જ નેશનલ હેલ્થ ઇકોસીસ્ટમ માટે ઓપન પ્લેટફોર્મ માટે પણ જાહેરાત કરી છે. આવી રીતે જ ક્રીપ્ટો કરન્સી, ડીજીટલ કરન્સી, જેવી સમયની માંગ સમાન બાબતો અંગે સરકારે દર્શાવેલ પ્રતિબદ્ધતા દર્શાવે છે કે મોદીજીની સરકાર વર્તમાન જરૂરિયાતો અને વાસ્તવિકતાને આધારે નિર્ણય લેવા તત્પર છે.


આ બજેટથી કરદાતાઓ પ્રત્યે સરકારનો અભિગમ કેવો છે તેના પણ દર્શન થઇ રહ્યા છે. મોદીજીની આગેવાની હેઠળ સરકાર બની ત્યારથી જ કરદાતાઓના અધિકારો પ્રત્યે એક ચર્ચા શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધી કોઈ કરદાતા પોતાની આવક દર્શાવવાનું ભૂલી જાય તો તેને માત્ર ચોર તરીકે જોવામાં આવતા હવે આ કરદાતાને આકારણી વર્ષથી બે વર્ષ સુધી પોતાની ભૂલાય ગયેલી આવક જાહેર કરી ટેક્ષ ભરવાની છૂટ આપવામાં આવશે. પહેલા ચોરનું લેબલ લગાવાનું હવે તેને ભૂલ તરીકે જોવાનું ચાલુ થયેલ છે ‘સબકા સાથ, સબકા વિશ્વાસ’થી હવે ‘સબ પે વિશ્વાસ’ મંત્ર સાથે દેશની તરક્કીમાં તમામ વર્ગોને જોડવાની શરૂઆત કરવામાં આવી છે.


આ બજેટથી સમાજનાં જુદા-જુદા તમામ સમુદાયો જેમકે ખેડૂતો, યુવાનો, દલિતો, પછાતો, વંચીતો, યુવા, દિવ્યાંગ, વિધાર્થી, MSME, તમામને આગળ વધવાની તક આપી આ બજેટથી સરકારે ‘સબકો સન્માન’ની ભાવનાને ફરીથી મજબૂત કરી છે. આ બજેટથી તમામ વર્ગોને તક આપવા માટે સરકારે પ્રયત્ન કર્યો છે, જે આત્મનિર્ભર ભારતની બુનિયાદ મજબુત થશે.


આ બજેટથી સરકારે ડિફેન્સ પ્રોડક્શન ભારતમાં જ થાય તે માટે પ્રયત્નો કર્યા છે, ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ થકી ભારતની મજબૂત આર્થિક પ્રગતિને સુનિશ્વિત કરવા પ્રયત્ન કર્યો છે.


જે વસ્તુ ભારતમાં બને છે, કે બનાવી શકાય તેમ છે, તેના પર ડ્યુટી વધારી છે. જે વસ્તુ માટે હજુ ભારત તૈયાર નથી તેના પરની ડ્યુટી ઘટાડીને સરકારે આત્મનિર્ભર ભારતની પ્રતિબદ્ધતાને જાહેર કરી છે. PLI અને પ્રાયોરીટી સેક્ટર પ્રત્યેની સરકારની નીતિઓથી ભારતનું અર્થતંત્ર મજબુત બનશે તથા ટ્રેડ ડેફીસીટ જલ્દીથી પૂરી કરી શકાશે.


બજેટ સમાજના તમામ સમુદાયોને પ્રગતિનો અવસર પ્રદાન કરનારૂ, આત્મનિર્ભર ભારતની પ્રતિબદ્ધતાને મજબૂત કરનારૂ, દેશના વિકાસમાં તમામની ભાગીદારી સુનિશ્વિત કરનારૂ તથા ‘સબ પે વિશ્વાસ’ અને ‘સબ કો સન્માન’ની ભાવનાના આધારે દેશમાં એક વિશ્વાસનું વાતાવરણ સર્જનાર છે.