મુંબઇ સહિત આખા મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં ફરી વધારો થયો છે. ત્રણ મહિના બાધ શુક્રવારે માત્ર એક જ દિવસમાં મહારાષ્ટ્રમાં કોરોનાના નવા 6000 જેટલા કેસ નોંધાયા છે. લોકલ સેવા શરુ થયા બાદ મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં ફરી વધારો થયો છે. વધતા કેસના કારણે મહારાષ્ટ્રના બે જિલ્લામાં લોકડાઉનનું એલાન કરાયુ છે. તો કોરોના ગાઈડલાઈનના નિયમ તોડનાર સામે સખ્ત કાર્યવાહીના મહારાષ્ટ્ર સરકારે આદેશ આપ્યા છે.


રાજ્ય સરકારે આપેલ આંકડા અનુસાર શુક્રવારે રાજ્યમાં કોરોનાના નવા 6112 કેસ સામે આવ્યા હતા. જેમાં મોટા ભાગના કેસ અકોલા, પુણે અને મુંબઈમાં આવ્યા છે. આ પહેલા રાજ્યમાં 30 ઓક્ટોબરથી એક દિવસમાં 6000થી વધારે કેસ આવ્યા હતા ત્યાર બાદ કેસની સંખ્યા ઘટી હતી.

આ સાથે જ મહારાષ્ટ્રમાં કુલ કેસની સંખ્યા 20,87,632 થઈ ગઈ છે જ્યારે 44 વધુ લોકોના મોત સાથે કુલ મૃતકોની સંખ્યા 51,713 થઈ ગઈ છે. આ 44 મોતમાંથી 19 લોકોના મોત વિતેલા 48 કલાકમાં થયા છે, જ્યારે 10 મોત વિતેલા સપ્તાહે જ્યારે 15ના મોત એ પહેલા થયા હતા. મુંબઈ શહેર અને આસપાસના વિસ્તારમાં સંક્રમણના સૌથી વધારે કેસ આવતા હતા પરંતુ 12 ફેબ્રુઆરી બાદ અકોલા, અમરાવતીમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે.

અકોલા ખંડમાં 12 ફેબ્રુઆરીએ કોરોના કેસની કુલ સંખ્યા 76,207 હતી જે શુક્રવારે વધીને 82,904 થઈ ગઈ. જ્યારે મુંબઈમાં ડિસેમ્બર બાદ કોરોનાના સૌથી વધારે 823 કેસ સામે આવ્યા છે. મુંબઈમાં કુલ કેસની સંખ્યા 3,17,310 થઈ ગઈ છે જ્યારે પાંચ વધુ લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 11,435 થઈ છે. વિતેલા 24 કલાક દરમિયાન 440 દર્દીને રજા આપવામાં આવી છે. શહેરમાં હાલમાં 6577 એક્ટિવ કેસ છે.