નવી દિલ્હી: સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશને સંબોધન કર્યું હતું. આ દરમિયાન દેશવાસીઓને 74માં સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી હતી. રાષ્ટ્રપતિએ કહ્યું કે, આ અવસર પર, આપણે આપણા સ્વાધીનતા સેનાનીઓના બલિદાનને કૃતજ્ઞતા સાથે યાદ કરીએ છે. તેમના બલિદાનથી જ આપણે બધા આજે એક સ્વતંત્ર દેશના નિવાસી છે.


રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું કે, આ વર્ષે સ્વતંત્રતા દિવસના ઉત્સવોમાં હંમેશાની જેમ ધૂમ-ધામતી નહીં ઉજવાય.જેનું કારણ સ્પષ્ટ છે. સમગ્ર દુનિયા એક એવા જીવલેણ વાયરસ સામે લડી રહી છે જેણે જન જીવનને મોટું નુકસાન પહોંચાડ્યું છે અને તમામ પ્રકારની પ્રવૃતિઓમાં અડચણ ઉભી કરી છે.

રાષ્ટ્ર તે તમામ ડૉક્ટરો, નર્સો તથા અન્ય સ્વાસ્થ્ય -કર્મીઓનો ઋણી છે જે આ કોરોના વાયરસ વિરુદ્ધની લડાઈમાં ફ્રન્ટ લાઈન યોદ્ધા રહ્યા છે. આપણા દેશના આદર્શ સેવા યોદ્ધા છે. આ કોરોના યોદ્ધાની જેટલી પણ પ્રશંસા કરવામાં આવે એટલી ઓછી છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે, આજે જ્યારે વિશ્વ સમુદાય સમક્ષ આવેલી સૌથી મોટા પડકાર સામે એકજૂટ થઈને સંઘર્ષ કરવાની જરૂર છે ત્યારે આપણા પાડોસીએ પોતાની વિસ્તારવાદી પ્રવૃતિને ચાલાકીથી અંજામ આપવાનું દુસ્સાહસ કર્યું છે.

રામનાથ કોવિંદે કહ્યું કે, આપ સૌ દેશાવાસીઓએ વૈશ્વિક મહામારીનો સામનો કરવામાં જે રીતે સમજદારી અને ધૈર્યનો પરિચય આપી રહ્યાં છે, તેની પ્રશંસા સમગ્ર વિશ્વમાં થઈ રહી છે. મને વિશ્વાસ છે કે આપ સૌ આ પ્રકારે , સતર્કતા અને જવાબદારી જાળવી રાખશો.