Coronavirus Cases Today in India: દેશમાં જીવલેણ કોરના વાયરસ મહામારીના નવા મામલામાં ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં 715 દિવસ બાદ સૌથી ઓછા કેસ નોંધાયા છે.  દેશમાં છેલ્લા 24 કલાકમાં 913 નવા કેસ અને  13 સંક્રમિતોના મોત થયા છે. રવિવારે 1096 નવા કેસ નોંધાયા હતા અને 81 સંક્રમિતોના મોત થયા હતા. શનિવારે દેશમાં 1260 નવા કેસ અને 83 સંક્રમિતોના મોત થયા હતા.  


એક્ટિવ કેસ 13 હજારથી ઓછા


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં 416 લોકો ઠીક થયા છે, જે બાદ હવે એક્ટિવ મામલાની સંખ્યા ઘટીને 12,597થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,21,358 પર પહોંચ્યો છે. દેશમાં 4,24,95,089 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 184,70,83,219 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું. દૈનિક પોઝિટિવિટી રેટ 0.29 ટકા અને સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 0.22 ટકા છે.  રિકવરી રેટ 98.76 ટકા છે.







શું ભારતમાં આવશે કોરોનાની ચોથી લહેર ?


ચીન અને યુરોપિયન દેશોમાં કોરોનાએ ફરીથી માથું ઊંચકતા ભારતમાં પણ ચોથી લહેરની દહેશત વ્યક્ત થઈ રહી છે. નિષ્ણાતોએ ચોથી લહેર માટે સાવધાન રહેવાની સલાહ આપી હતી. ચીનમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. તે ઉપરાંત બ્રિટન સહિત યુરોપના ઘણાં દેશોમાં કોરોનાનો તરખાટ મચ્યો છે. દુનિયાભરમાં કોરોનાના કેસમાં વધારો થતો જોયા બાદ ભારતમાં પણ ચોથી લહેરની ભીતિ વ્યક્ત થઈ રહી છે. સ્વાસ્થ્ય સેવાના પૂર્વ ઉચ્ચ અધિકારી અને દિલ્હી રાજ્ય સરકારના પૂર્વ સ્વાસ્થ્ય સલાહકાર ડો. સુભાષ સાલુંખેને ટાંકીને રજૂ થયેલા અહેવાલોમાં કહેવાયું હતું કે ભારત ઉપર ચોથી લહેરનો ખતરો મંડરાઈ રહ્યો છે. જોકે, ચોથી લહેર ક્યારે આવશે તે બાબતે હજુ પણ નિષ્ણાતોમાં મતમતાંતર છે, છતાં ચોથી લહેર આવશે એવી શક્યતાના પગલે સ્વાસ્થ્ય વિભાગે સાવધાન રહેવું જોઈએ એવી સલાહ તેમણે આપી હતી. જોકે, અન્ય નિષ્ણાતોએ પણ કહ્યું હતું કે હાલ પૂરતો દેશ ઉપર કોરોનાની ચોથી લહેરનો ખતરો નથી, તેમ છતાં સાવચેતી રાખવી જરૂરી છે.