નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસના સંક્રમણનાી રફ્તાર ધીમી પડી છે. સતત 13 દિવસથી 25 હજારથી ઓછા અને 22માં દિવસે 30 હજારથી ઓછા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 19,079 નવા સંક્રમિત દર્દીઓ સામે આવ્યા છે. જ્યારે 224 લોકોના કોરોનાથી મોત થયા છે. જો કે, 22,926 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, ભારતમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 1 કરોડ ત્રણ લાખ થઈ ગઈ છે. તેમાંથી અત્યાર સુધી એક લાખ 49 હજાર 218 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કુલ એક્ટિવ કેસ ઘટીને 2 લાખ 50 હજાર પર આવી ગયા છે. અત્યાર સુધી 99 લાખ 6 હજાર લોકો કોરોનાને મ્હાત આપી સાજા થયા છે.

ICMR અનુસાર, એક જાન્યુઆરી સુધી કોરોના વાયરસના કુલ 17 કરોડ 39 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 8.29 લાખ સેમ્પલનું ટેસ્ટિંગ ગઈકાલે કરવામાં આવ્યું હતું. દેશમાં પોઝિટિવીટી રેટ સાત ટકા છે. કોરોના વાયરસના કુલ એક્ટિવ કેસમાંથી 40 ટકા કેસ કેરળ અને મહારાષ્ટ્રમાં છે.

મૃત્યુ દર અને રિકવરી રેટ
દેશમાં મૃત્યુ દર અને એક્ટિવ કેસ રેટમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.45 ટકા છે. જ્યારે રિકવરી રેટ 96 ટકા છે. સૌથી વધુ એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં છે. કોરોના સંક્રમિત કેસ મામલે ભારત દુનિયામાં બીજો સૌથી વધુ પ્રભાવિત દેશ છે.