નવી દિલ્હી: દેશમાં સતત 16માં દિવસે કોરોના વાયરસના નવા પોઝિટિવ કેસની સંખ્યા 50 હજારથી ઓછી નોઁધાઈ છે, જેના બાદ કુલ સંક્રમિતોની સંખ્યા 91 લાખને પાર પહોંચી ગઈ છે. દેશમાં છેલ્લા કલાકમાં 44,059 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 511 લોકોના કોરોનાથી મૃત્યુ થયા હતા.


જો કે, સારા સમાચાર એ છે કે, છેલ્લા 24 કલાકમાં 41,024 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. કોરોના કેસ મામલે ભારત અમેરિકા બાદ બીજા નંબરે છે. જ્યારે મૃત્યુઆંક મામલે દુનિયામાં ચોથા નંબરે છે.

આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર, ભારતમાં કોરોનાના કુલ કેસ 91 લાખ 40 હજાર પર પહોંચી ગયા છે. તેમાંથી અત્યાર સુધી એક લાખ 33 હજાર 778 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એક્ટિવ કેસની સંખ્યા વધીને ચાર લાખ 43 હજાર છે. છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસની સંખ્યા 2524 વધી છે. અત્યાર સુધી કુલ 85 લાખ 62 હજાર લોકો કોરોના બિમારીમાંથી સ્વસ્થ થયા છે. છેલ્લા 24 કલાકમાં 41,024 દર્દીઓ સાજા થયા હતા.

ICMR અનુસાર, 22 નવેમ્બર સુધી કોરોના વાયરસના માટે કુલ 13 કરોડ 25 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 8.49 લાખ સેમ્પલ રવિવારે ટેસ્ટ કરવામાં આવ્યા હતા. પોઝિટિવિ રેટ સાત ટકા છે. દેશમાં રિકવરી રેટમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં રિકવરી રેટ 93.70 ટકા છે. જ્યારે મૃત્યુદર 1.46 ટકા છે.