નવી દિલ્હી: ભારતમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 94 લાખ સુધી પહોંચી ગઈ છે. આજે સતત 22માં દિવસે કોરોના 50 હજારથી ઓછા નવા કેસ નોંધાયા હતા. દેશમાં છેલ્લા 24 કલાકમાં 41,810 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 496 લોકોના કોરોનાથી મોત થયા હતા. જો કે, 42,298 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, ભારતમાં કોરોનાના કુલ કેસ વધીને 93 લાખ 93 હજાર થઈ ગયા છે. તેમાં અત્યાર સુધી એક લાખ 36 હજાર 696 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કુલ એક્ટિવ કેસ ઘટીને ચાર લાખ 54 હજાર થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસની સંખ્યા 984 થઈ ગઈ. અત્યાર સુધી કુલ 88 લાખ 2 હજાર લોકોએ કોરોનાને મ્હાત આપી છે.


ICMR અનુસાર દેશમાં 28 નવેમ્બર સુધી કોરોના વાયરસના કુલ 13 કરોડ 95 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી ગઈ કાલે 12.83 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. પોઝિટિવિટી રેટ સાત ટકા છે.
મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં કોરોના વાયરસના એક્ટિવ કેસ, મૃત્યુ દર અને રિકવરી રેટ સૌથી વધારે છે. રાહતની વાત એ છે કે, મૃત્યુ દર અને એક્ટિવ કેસના રેટમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ભારતમાં રિકવરી રેટ 93.68 ટકા છે. જ્યારે મૃત્યુદર 1.46 ટકા છે. એક્ટિવ કેસ 5 ટકાથી પણ ઓછો  છે.

ભારત દુનિયામાં સૌથી વધુ કોરોના સંક્રમિત કેસ મામલે બીજા નંબરે છે, એટલું જ નહીં સૌથી વધુ મોત મામલે ત્રીજા નંબરે છે. સાથે ભારત સાતમો એવો દેશ છે જ્યાં સૌથી વધુ એક્ટિવ કેસ છે. સૌથી વધુ એક્ટિવ કેસ અમેરિકા, ફ્રાન્સ, ઈટાલી, બેલ્જિયમ, બ્રાઝિલ અને રશિયામાં છે.