નવી દિલ્હી: દુનિયામાં સૌથી ઝડપી કોરોના વાયરસનું સંક્રમણ ભારતમાં ફેલાઈ રહ્યું છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 89,706 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 1115 લોકોના મૃત્યુ થયું છે. આ પહેલા 7 સપ્ટેમ્બરે રેકોર્ડ 90,802 કોરોના કેસ નોંધાયા છે. દેશમાં છેલ્લા 8 દિવસથી હજારથી વધુ લોકોનું મૃત્યુ થઈ રહ્યું છે. દેશમાં કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 44 લાખની નજીક પહોંચી ગઈ છે. હાલમાં દુનિયામાં સૌથી વધુ કોરોના કેસ અમેરિકામાં છે, પરંતુ દરરોજ અમેરિકા કરતા ત્રણ ગણા કોરોનાના કેસ ભારતમાં આવી રહ્યાં છે.


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના તાજેતરના આંકડા અનુસાર, દેશમાં અત્યાર સુધી સંક્રમિતોની સંખ્યા 43 લાખ 70 હજારને પાર પહોંચી ગઈ છે. જેમાંથી 73,890 લોકોના મોત થયા છે, જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 8 લાખ 97 હજાર થઈ ગઈ છે અને અત્યાર સુધી 33 લાખ 98 હજાર લોકોના મોત થઈ ચૂક્યા છે.

5 કરોડથી વધુ સેમ્પલ ટેસ્ટ,

આઈસીએમઆર અનુસાર, 8 સપ્ટેમ્બર સુધી દેશમાં કોરોના વાયરસના કુલ 5 કરોડ 18 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે, જેમાં 11 લાખ સેમ્પલનું ટેસ્ટિંગ ગઈકાલે કરવામાં આવ્યું હતું. પોઝિટિવીટી રેટ 7 ટકાથી ઓછો છે.

મૃત્યુદરમાં ઘટાડો

રાહતની વાત એ છે કે, દેશમાં મૃત્યુદર અને એક્ટિવ કેસ રેટમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. મૃત્યુ દર ઘટીને 1.69 થઈ ગઈ છે. તે સિવાય એક્ટિવ કેસ દર પણ ઘટીને 21 ટકા થઈ ગયો છે. તેની સાથે રિકવરી રેટ 78 ટકા થઈ ગયો છે. દેશમાં રિકવરી રેટમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.