નવી દિલ્હી: ભારતમાં કોરોના સંક્રમણના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દેશમાં પહેલી વાર એક દિવસમાં 90,632 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 24 કલાકમાં 1065 લોકોના મૃત્યુ થયા છે. આ પહેલા દેશમાં 5 સપ્ટેમ્બરે સર્વાધિક 86,432 કેસ નોંધાયા હતા. દેશમાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધીને 41 લાખ 13 હજાર થઈ ગઈ છે. સંક્રમિતોની સંખ્યા મામલે ભારત બ્રાઝીલને પછાડી બીજા નંબરે પહોંચવાની તૈયારીમાં છે. બ્રાઝીલમાં કુલ કેસ 41 લાખ 23 હજાર છે.


દેશમાં કોરોનાથી અત્યાર સુધી 70,626 લોકોના મોત થઈ ચૂક્યા છે. એક્ટિવ કેસની સંખ્યા 8 લાખ 62 હજાર થઈ ગઈ છે અને 31 લાખ 80 હજાર લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. સંક્રમણના સક્રિય કેસની સંખ્યાની તુલનામાં સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા આશરે ત્રણ ગણી વધું છે.

રાહતની વાત એ છે કે, મૃત્યુદર અને એક્ટિવ કેસ રેટમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. મૃત્યુ દર ઘટીને 1.72 ટકા થઈ ગયો છે. તે સિવાય એક્ટિવ કેસનો દર 21 ટકા થઈ ગયો છે. તેની સાથે રિકવરી રેટ 77 ટકા થઈ ગયો છે. ભારતમાં રિકવરી રેટમાં સતત વધારો થઈ રહ્યો છે.

દેશમાં 5 સપ્ટેમ્બર સુધીમાં કોરોના વાયરનસા કુલ 4 કરોડ 88 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 11 લાખ સેમ્પલનું ટેસ્ટિંગ ગઈ કાલે કરવામાં આવ્યું હતું. પોઝિટિવીટી રેટ 7 ટકાથી ઓછો છે.

એક્ટિવ કેસ મામલે ટોપ-5 રાજ્ય

આંકડા અનુસાર, દેશમાં સૌથી વધુ એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં બે લાખથી વધુ સંક્રમિતોની સારવાર ચાલી રહી છે. જ્યારે બીજા નંબરે તમિલનાડુ, ત્રીજા પર દિલ્હી, ચોથા પર ગુજરાત અને પાંચમાં નંબરે પશ્ચિમ બંગાળ છે. આ પાંચ રાજ્યમાં સૌથી વધુ એક્ટિવ કેસ છે. એક્ટિવ કેસ મામલે ભારત દુનિયામાં ત્રીજા નંબરે છે. સાથે સંક્રમિતોની સંખ્યા અને મોત મામલે ત્રીજો સૌથી પ્રભાવિત દેશ છે. અમેરિકા, બ્રાઝીલ બાદ ભારત સૌથી વધુ પ્રભાવિત દેશ છે.