નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યમાં સતત ઘટાડો આવી રહ્યો છે. દેશમાં છેલ્લા 6 મહિના બાદ 19 હજારથી ઓછા કેસ સામે આવ્યા છે. આજે સતત સાતમાં દિવસે 25 હજારથી ઓછા અને 16માં દિવસે 30 હજારથી ઓછા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 18,732 નવા સંક્રમિત દર્દીઓ મળી આવ્યા છે. જ્યારે 279 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. સારી વાત એ છે કે, છેલ્લા 24 કલાકમાં 21, 430 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.


દેશમાં 97 લાખથી વધુ દર્દીઓ થયા સાજા

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, ભારતમાં કોરોનાના કુલ કેસ વધીને 1 કરોડ એક લાખ 88 હજાર પર પહોંચી ગયા છે. તેમાંથી અત્યાર સુધી એક લાખ 47 લાખ 622 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કુલ એક્ટિવ કેસ ઘટીને 2 લાખ 78 હજાર પર આવી ગયા છે. અત્યાર સુધી કુલ 97 લાખ 61 હજાર લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.

ICMR અનુસાર, 26 ડિસેમ્બર સુધી કોરોના વાયરસના કુલ 16 કરોડ 80 લાખ કોરોનાના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમાંથી 9 લાખ સેમ્પલ ગઈ કાલે ટેસ્ટ કરવામાં આવ્યા હતા. દેશમાં પોઝિટિવિટી રેટ સાત ટકા છે. 33 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોના વાયરસના 20 હજારથી ઓછા એક્ટિવ કેસ છે. કોરોના વાયરસના કુલ સક્રિય કેસમાં 40 ટકા કેસ કેરળ અને મહારાષ્ટ્રમાં છે.

મૃત્યુ દર અને રિકવરી રેટ

દેશમાં મૃત્યુ દર અને એક્ટિવ કેસના દરમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.45 ટકા છે જ્યારે રિકવરી રેટ 96 ટકા છે. એક્ટિવ કેસ 3 ટકાથી ઓછો છે. સૌથી વધુ એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં છે. એક્ટિવ કેસ મામલે દુનિયામાં ભારત 10માં ક્રમે છે. જ્યારે કોરોના કેસની સંખ્યાના હિસાબે દુનિયામાં બીજો સોથી કોરોના પ્રભાવિત દેશ છે.