નવી દિલ્હીઃ કોરોના કાળમાં સમગ્ર વિશ્વની સાથે સાથે ભારતની અર્થવ્યવસ્થા પડી ભાંગી છે. સોમવારે આવેલ ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરના જીડીપના આંકડાથી ખબર પડે છે કે 40 વર્ષમાં પ્રથમ વખત ભારતનો જીડીપી દર નેગેટીવમાં રહ્યો છે. નવા રિપોર્ટ્સ અનુસાર ભારતનો જીડીપી દર -23.9 ટકા સુધી ઘટ્યા બાદ હવે આખા વર્ષમાં તે 10.9 ટકા સુધી ઘટી શકે છે.


ભારતના નબળા જીડીપીના આંકડાને લઈને વિશ્વની ટોચની નાણાંકીય સંસ્થા આઈએમએફે ગંભીર ચેતવણી ઉચ્ચારી છે. આઇએમએફનાં અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે કહ્યું કે, ચાલુ નાણાંકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં ભારતનું અર્થતંત્ર જી-20 દેશોમાં સૌથી ખરાબ રહે તેવી શક્યતા છે. તેમના કહેવા અનુસાર બીજા ક્વાર્ટરમાં ભારતનાં અર્થતંત્રનાં વિકાસ દરમાં ઐતિહાસિક ઘટાડો જોવા મળી શકે છે.

ટ્વીટર પર ગીતા ગોપીનાથે ટ્વીટ કરીને જણાવ્યું કે, ચાલુ નાણાંકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં જી-20 દેશોની ઈકોનોમી પર કોરોનાની અસર સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. જી-20 દેશોનો વૃદ્ધિ દર નકારાત્મક ઝોનમાં રહી શકે છે. આ સમુહમાં ભારતનો જીડીપી 25.6 ટકા સુધી નકારાત્મક રહેવાનો અંદાજ છે.

તેમણએ આગળ લખ્યું કે, આ આંકડા ક્વાર્ટર્લી છે માટે તેની તુલના કોઈ એક વર્ષના આંકડા સાથે ન કરવી જોઈએ. તેમણે કહ્યું કે, વર્ષ 2020ના ત્રીજા ક્વાર્ટરમાં જી-20 દેશોની જીડીપીમાં સુધારો જોવા મળી શકે છે. આ વર્ષનાં પ્રથમ ક્વાર્ટરમાં ઘટાડો જોવા મળ્યા બાદ ચીનની જીડીપી બીજા ત્રિમાસિકમાં સારૂ પ્રદર્શન કરી શકે છે.