નવી દિલ્હી: સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે મંગળવારે ભારત અને પાકિસ્તનના ડીજીએમઓ વચ્ચે વાતચીત થઇ છે. બન્ને દેશોના અધિકારીઓ વચ્ચે સીઝફાયર સમજૂતી અને બોર્ડર પર શાંતિ રાખવાની અપીલ કરવામાં આવી છે. આ વાતચીત માટે પાકિસ્તાનના ડીજીએમઓ તરફથી અપીલ કરવામાં આવી હતી. બન્ને દેશોના અધિકારીઓએ હૉટલાઇન પર વાતચીત કરી સીઝફાયરની સહમતી દર્શાવી છે.


પાકિસ્તાનની સેના દ્વારા છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી ગોળીબારની ઘટનામાં અનેક નાગરિકો મૃત્યુ પામ્યા છે. ભારત તરફથી જવાબી કાર્યવાહીથી ઘબરાયેલા પાકિસ્તાને મંગળવારે સાંજે 6 વાગે હૉટલાઇનથી ભારતના ડીજીએમઓ સાથે વાત કરી અને સરહદ પર સીઝફાયર કરવા પર સહમતી દર્શાવી છે. હવે ભારત-પાકિસ્તાન સરહદ પર ગોળીબાર નહીં થાય.

મંગળવારે બન્ને દેશો વચ્ચે થયેલી સમજૂતી પ્રમાણે સરહદ પર કોઈ પણ પ્રકારની સીઝફાયરનું ઉલ્લંઘન કે સમસ્યા થશે તો અધિકારીઓ હૉટલાઈન પર વાત કરશે. તે સિવાય સરહદ પર ફ્લેગ મીટિંગની સંખ્યામાં પણ વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે, હાલમાંજ પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય બોર્ડર અને એલઓસી પર ગોળીબાર કર્યો છે. જેમાં કેટલાક નાગરિકોના મોત થયા છે. ગોળીબારના કારણે સરહદ વિસ્તારમાં રહેતા એક લાખથી વધુ લોકોને સુરક્ષિત જગ્યા પર ખસેડવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે. 2003 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયર સમજૂતી થઇ હતી, પરંતુ તેના બાદ પણ પાકિસ્તાન સીઝફાયરનું ઉલ્લંઘન કરતું આવ્યું છે.