નવી દિલ્હીઃ એનઆરસી રજિસ્ટરના વિવાદ વચ્ચે ભારત સરકારે પ્રથમ મોટી કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. આસામમાં ગેરકાયદેસર રીતે રહેલા સાત રોહિંગ્યા મુસલમાનોને મ્યાનમાર મોકલવામાં આવશે. કેન્દ્ર સરકાર પ્રથમવાર આ પ્રકારની કાર્યવાહી કરી રહી છે. પોલીસ દ્ધારા અટકાયત કર્યા બાદ 2012થી આ લોકો આસામના સિલચર જિલ્લાના કચાર કેન્દ્રિય જેલમાં બંધ હતા. કેન્દ્રિય ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે, ગુરુવારે મણિપુરના મોરેહ સરહદ પર સાત રોહિંગ્યા પ્રવાસીઓને મ્યાનમારના અધિકારીઓને સોંપવામાં આવશે.
અધિકારીએ જણાવ્યું કે, મ્યાનમારના ડિપ્લોમેટને કાઉન્સિલરની મદદ પહોંચાડવામાં આવી હતી. તેમણે આ પ્રવાસીઓની ઓળખ કરી છે. અન્ય અધિકારીએ જણાવ્યું કે, પાડોશી દેશની સરકારે ગેરકાયદેસર પ્રવાસીઓ પોતાના દેશના નાગરિક હોવાની પુષ્ટી કરી હતી. ગુવાહાટીમાં આસામના એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (સરહદ) ભાસ્કરજ્યોતિ મહંતાએ જણાવ્યું હતું કે, વિદેશી નાગરિકોને પાછા મોકલવાનું કામ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું હતું. આ વર્ષની શરૂઆતમાં અમે બાંગ્લાદેશ, મ્યાનમાર અને પાકિસ્તાનના અનેક નાગરિકોને સ્વદેશ પાછા મોકલ્યા છે. સાત રોહિંગ્યા લોકોને વિદેશી કાયદાના ઉલ્લંઘનના આરોપમાં  29 જૂલાઇ 2012માં ધરપકડ કરાઇ હતી.