નવી દિલ્હી: ભારત સરકારે કોરોના વાયરસથી બચાવની કવાયતને પગલે હવે અફઘાનિસ્તાન, ફિલીપાઈન્સ અને મલેશિયાથી કોઈ પણ યાત્રીને ભારતમાં આવવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ પ્રતિબંધ તાત્કાલિક પ્રભાવથી લાગુ કરવામાં આવ્યો છે. જેના કારણે અનેક વિદ્યાર્થીઓ અને ભારતીય ફિલિપાઈન્સ અને મલેશિયામાં ફસાઈ ગયા છે.


આ પહેલા ફિલિપાઈન્સ સરકારે બહાર જવા માંગતા તમામ વિદેશીઓને દેશ છોડવા માટે 72 કલાકનો સમય આપ્યો હતો. હાલમાં ફિલિપાઇન્સની રાજધાની મનિલાને લોકડાઉન કરવામાં આવી છે. જેના કારણે ત્યાં અનેક ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા છે. તેમાં પણ મોટાભાગના જોનેલ્ટા ફાઉન્ડેશન સ્કૂલ ઓફ મેડિસિનમાં અભ્યાસ કરે છે.

મનીલા સ્થિત ભારતીય દુતાવાસે ટ્વીટ કરીને કહ્યું કે વિદેશ મંત્રાલય આ સમસ્યાના ઉકેલ માટે પ્રયત્ન કરી રહ્યું છે. હાલમાં ધીરજ રાખે. મહત્વપૂર્ણ છે કે, ફિલિપાઈન્સમાં છેલ્લા કેટલાક દિવસોમં કોવિડ-19ના મામલામાં ઘણો વધારો થયો છે. તાજેતરની માહિતી અનુસાર ફિલિપાઈન્સમાં અત્યાર સુધી 187 કેસ નોંધાયા છે, ગત 24 કલાકમાં 45 કેસ નવા નોંધાયા છે.

નોંધનીય છે કે દુનિયાભરમાં અત્યાર સુધી કોરોના વાયરસના કારણે 7158 લોકોના મોત થઇ ચૂક્યા છે. વળી આ વાયરસથી 1 લાખ 82 હજારથી વધુ લોકો સંક્રમિત છે. આ વાયરસથી રિકવર કરવા વાળા લોકોમાં 79 હજારથી વધુ લોકો છે. હજુ પણ દુનિયાભરમાં લગભગ 1 લાખથી વધુ કોરોના કેસ એક્ટિવ છે, આમાંથી 6 હજારથી વધુ લોકોની હાલત હજુ પણ ખરાબ છે.