નવી દિલ્હી: ભારતે પાડોશી દેશ પાકિસ્તાનને કોરોના વાયરસની વેક્સીન આપવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાને 45 મિલિયન (સાડા ચાર કરોડ) ડોઝ  દેવામાં આવશે. પાડોશી દેશ પાકિસ્તાનને વેક્સીન કરાર મુજબ આપવામાં આવશે જે પાકિસ્તાન સાથે સપ્ટેમ્બર 2020માં કરાર કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનને સીરમ ઈન્સ્ટીટ્યૂટની વેક્સીન કોવિશીલ્ડ આપવામાં આવશે. 


પાકિસ્તાનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા (એનએચએસ)ના સચિવ આમિર અશરફ ખ્વાજાએ લોક લેખા સમિતિ(પીએસી)ને જણાવ્યું કે દેશને ભારતમાં નિર્મિત કોરોનાની રસી આ જ મહિને મળશે. ખ્વાજાએ કહ્યું કે અત્યાર સુધીમાં પાકિસ્તાનમાં 27.5 મિલિયન લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. જેમાં ફ્રન્ટ લાઈન વર્કર અને વરિષ્ઠ નાગરિકો સામેલ છે. 


ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને અત્યાર સુધીમાં ચાર રસી સિનોફ્રામ (ચીન), ઓક્સફોર્ડ- એસ્ટ્રાજેનેકા (બ્રિટન), સ્પૂતનિક-વી (રશિયા) અને કૈનસિનો બાયો (ચીન) ની નોંધણી કરાવી છે.


છેલ્લા કેટલાક દિવસોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં નરમાશ જોવા મળી છે. ભારત અને પાકિસ્તાને 25 ફેબ્રુઆરીએ જાહેરાત કરી હતી કે તેઓ જમ્મુ-કાશ્મીર અને અન્ય વિસ્તારોમાં નિયંત્રણ રેખા પરના તમામ યુદ્ધવિરામ કરારનું કડક પાલન કરવા માટે સહમત છે.