નવી દિલ્હી: ભારતે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સૈનિકોને ભેટ તરીકે કોરોના વાયરસ રસીના બે લાખ ડોઝ આપવાની જાહેરાત કરી છે. વિદેશ મંત્રી એસ જયશંકરે યૂએન રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કહ્યું હતું કે, 'વેક્સીન રાષ્ટ્રવાદ'ને બંધ કરવું પડશે. ખરેખર, આંતરરાષ્ટ્રીયતાને સક્રિયપણે પ્રોત્સાહન આપવું પડશે.


તેમણે કહ્યું, "રસીઓના અતિશય સંગ્રહખોરી સામૂહિક આરોગ્ય સુરક્ષાની દિશામાં અમારા પ્રયત્નોને વ્યર્થ કરી દેશે." જયશંકરે કોવેક્સ તંત્રની હેઠળ સહયોગનું આહવાન કર્યું જે ગરીબ દેશો માટે પૂરતી રસી મેળવવાની કોશિશ કરી રહ્યાં છે.

એસ.જયશંકરે એ વાત પર પણ ભાર મૂકતા જણાવ્યું હતું કે, મહામારીનો લાભ લેવા માટે ખોટી માહિતીના આધારે અભિયાન ચલાવવામાં આવી રહ્યાં છે, આવા દૂષિત લક્ષ્યો અને પ્રવૃત્તિઓ ચોક્કસપણે રોકવી પડશે.

નોંધનીય છે કે, ભારતમાં 16 જાન્યુઆરીથી રસીકરણનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. તેના ચાર દિવસ બાદ ભારતે વિવિધ દેશોમાં આ રસી ઉપલબ્ધ થાય તે માટે "ટીકા મૈત્રી" અભિયાન શરૂ કર્યું છે. ગત અઠવાડિયામાં ભારતમાં ઉત્પાદિત રસીના લાખો ડોઝ ભૂટાન, મ્યાનમાર, નેપાળથી લઈ બાંગ્લાદેશ, શ્રીલંકા, મોરેશિયસ, સેશેલ્સમાં પહોંચાડવામાં આવી છે.