નવી દિલ્હી: પાકિસ્તાન તરફથી 10 સર્જિકલ સ્ટ્રાઈકની ધમકી બાદ ભારતીય સેનાએ પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. સેનાના જીઓસી લેફ્ટનેન્ટ જનરલ રણવીરે કહ્યું કે, પાકિસ્તાનની ધમકીની કોઈ અસર નથી થવાની. ભારતીય સેના કોઈ પણ પરિસ્થિતિ સામે લડવા હંમેશા તૈયાર રહે છે.


જનરલ રણવીર સિંહે કહ્યું કે હું તમને આશ્વાસન આપું છું કે ભારતીય સેના હંમેશા તૈયાર રહે છે. જરૂરત પડે તો કોઈ પણ પડકારજન કામ કરી શકાય છે. તેમાં અમને કોઈ ફર્ક નથી પડતો કે શું નિવેદન આપવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, હાલમાંજ પાકિસ્તાની સૈન્યના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે લંડનમાં ભારત વિરુદ્ધ ઝેર ઓક્યુ હતું. તે પાકિસ્તાની સૈન્યના પ્રમુખ જનરલ મેજર જાવેદ બાજવા સાથે વિદેશ પ્રવાસ પર હતા. ત્યારે પાકિસ્તાની રેડિયો સાથેની વાતચીતમાં ગફૂરે કહ્યું હતું કે, જો ભારત પાકિસ્તાનની અંદર સર્જિકલ સ્ટ્રાઇક કરવાની હિંમત કરે છે તો તેના જવાબમાં તેને 10 સર્જિકલ સ્ટ્રાઇક હુમલાનો સામનો કરવો પડશે. ગફૂરે કહ્યું કે, જે લોકો અમારા વિરુદ્ધ કોઇ પણ પ્રકારની કાર્યવાહી કરવા અંગે વિચારે છે તેમને પાકિસ્તાનની ક્ષમતાઓ પર કોઇ શંકા રાખવી જોઇએ નહીં.