હુતી બળવાખોરોએ અરબ સાગરમાં પનામા ધ્વજ ધરાવતા ક્રૂડ ઓઈલ ટેન્કર MV Andromeda Star પર મિસાઈલથી હુમલો કર્યો હતો. આ ટેન્કરમાં 22 ભારતીયો સહિત 30 ક્રૂ મેમ્બર હતા. ઓઇલ શિપે તરત જ ઈમરજન્સી મદદ માંગી હતી. દરમિયાન ઓઇલ શિપથી નજીકના ભારતીય નૌકાદળના INS કોચીએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. આ ઘટના 26 એપ્રિલ 2024ના રોજ બની હતી.


યુએસ સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે ઈરાન સમર્થિત હુતી બળવાખોરોએ યમનમાંથી ત્રણ એન્ટી શિપ બેલેસ્ટિક મિસાઈલો છોડી હતી. લાલ સાગરમાં રહેલા જહાજો માઈશા અને એમવી એન્ડ્રોમેડા સ્ટાર હુતી બળવાખોરના ટાર્ગેટ હતા. MV એન્ડ્રોમેડા સ્ટાર એ સેશેલ્સ દ્વારા સંચાલિત પનામા ધ્વજવાળું જહાજ છે.


મિસાઈલને કારણે જહાજને વધુ નુકસાન થયું નથી. પરંતુ તરત જ ભારતીય નૌકાદળનું સ્ટીલ્થ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર આઈએનએસ કોચી આઇલ શિપને મદદ કરવા પહોંચી ગયું. તમામ ક્રૂ મેમ્બર્સને બચાવી લેવામાં આવ્યા છે. નેવીની એક્સપ્લોઝિવ ઓર્ડનન્સ ડિસ્પોઝલ ટીમે ટેન્કર પર મિસાઈલ હુમલાના સ્થળની તપાસ કરી હતી. નેવીએ કહ્યું કે 22 ભારતીયો સહિત તમામ ક્રૂ મેમ્બર સુરક્ષિત છે. જહાજને તેના આગામી પ્રવાસ માટે રવાના કરવામાં આવ્યું છે.


ચાલો હવે જાણીએ INS કોચીની તાકાત વિશે


INS કોચી કોલકાતા ક્લાસનું બીજું સ્ટીલ્થ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર છે. 2015 થી નેવીમાં તૈનાત 7500 ટન ડિસ્પ્લેસમેન્ટ સાથેના આ યુદ્ધ જહાજની લંબાઈ 535 ફૂટ છે. બીમ 57 ફૂટ છે. મહત્તમ 56 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. તે છ પ્રકારના આધુનિક સેન્સરથી સજ્જ છે


તે ત્રણ પ્રકારની ઈલેક્ટ્રોનિક વોરફેર અને ડિકોય સિસ્ટમથી સજ્જ છે. 32 બરાક-8 અને 16 બ્રહ્મોસ મિસાઇલોથી સજ્જ પણ છે. 1 Oto Melara 76 mm નેવલ ગન, 4 AK-630 CIWS, 4 ટોર્પિડો ટ્યુબ, 2 RBU-6000 એન્ટી સબમરીન રોકેટ લોન્ચરથી સજ્જ છે. તેના પર બે સી કિંગ અથવા ધ્રુવ હેલિકોપ્ટર તૈનાત કરી શકાય છે.


નેવીની નજર માત્ર ચીન-પાકિસ્તાન પર જ નહીં, સમગ્ર વિશ્વ પર છે


ભારતનું ધ્યાન માત્ર ચીન અને પાકિસ્તાનની સુરક્ષા પર નથી. ભારતીય નૌકાદળ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સતત તાકાત વધારી રહ્યું છે. આખી દુનિયા તેની પ્રશંસા કરી રહી છે. નવેમ્બર 2023 થી અત્યાર સુધીમાં ભારતીય નૌકાદળે 110 લોકોને દરિયામાં ચાંચિયાઓ અથવા કોઈપણ પ્રકારની મુશ્કેલીથી બચાવ્યા છે.