નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાયરસનું સંક્રમણ ખૂબ જ બેકાબૂ બન્યું છે. તેના કારણે દરરોજ હજારો લોકોના જીવ જઈ રહ્યા છે તો બીજી કરફ કોરોના સંક્રમણના નવા કેસ ચાર લાખને પાર પહોંચી ગયા છે. કોરોના સંક્રમણ અટકાવવા માટે લેવામાં આવેલા પગલાઓની અસરપ કંઈ ખાસ જોવા નથી મળી. આ કારણે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં લોકડાઉન અથવા તેના જેવાજ કડક પ્રતિબંધો લાગુ કરાયા છે. 



કોરોના સંક્રમણ વધતા ટ્રેનમાં મુસાફરી કરતા યાત્રીઓની સંખ્યા ઘટી રહી છે. ત્યારે ઉત્તર રેલવેએ ગુરુવારે રાજધાની, શતાબ્દી અને દુરંતો એક્સપ્રેસ ટ્રેનો રદ્દ કરી છે. રેલવેએ આ નિર્ણય માટે ઓછા મુસાફરો અને કોરોના વાયરસના સતત વધી રહેલા કેસ કારણ જણાવ્યું છે.


જે ટ્રેનો બંધ કરાઈ છે તેમાં 8 જોડી (અપ અને ડાઉન) શતાબ્દી સ્પેશીયલ ટ્રેનો, 2 જોડી જન શતાબ્દી, 4 જોડી દુરંતો, 4 રાજધાની ટ્રેનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઘણી વિશેષ, ફેસ્ટીવલ સ્પેશીયલ અને વંદેભારત ટ્રેનો પણ રદ્દ કરવામાં આવી છે. 


રાજધાની સ્પેશિયલ જેવી ટ્રેનો રદ કરવામાં આવી છે.ગયા વર્ષે પણ કોરોનાનું સંક્રમણ અટકાવવા દેશવ્યાપી લોકડાઉન બાદ મુસાફરોની ટ્રેનોને બંધ કરવામાં આવી હતી. 


 


એક્ટિવ કેસ 35 લાખને પાર


 દેશમાં એક્ટિવ કેસનો આંકડો 35 લાખને પાર થઈ ગયો છે.  છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે. 


 


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 4,12,262 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3980 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,29,113 લોકો ઠીક પણ થયા છે. 


16 કરોડથી વધારેને રસી અપાઈ


 


દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 16 કરોડ 25 લાખ 13 હજાર 339 ડોઝ આપવામાં આવ્યા છે.


 


આ રાજ્યોમાં એક્ટિવ કેસ એક લાખથી વધુ


 


સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, છત્તીસગઢ, ગુજરાત અને તમિલનાડુ એવા રાજ્ય છે જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે.


 


રાજ્યોની હાલત છે ખરાબ


 


કોરોનાના આંકડામાં આવી રહેલો આ ઉછાળો ખૂબ જ ચિંતાજનક છે. મહારાષ્ટ્ર બાદ હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પણ કોરોનાના રેકોર્ડ કેસ નોંધાઈ રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે ભારતમાં કોવિડ-19ના દૈનિક કેસમાંથી 82 ટકાથી વધુ કેસ 10 રાજ્યોમાંથી જ છે. તેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.