નવી દિલ્હીઃ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, આખા દેશમાં એનઆરસી લાગુ કરવામાં આવશે અને વર્ષ 2024 અગાઉ દેશમાંથી તમામ ઘૂસણખોરોને દેશમાંથી બહાર કરવામાં આવશે. શાહે બુધવારે સેક્ટર-31 એત્માતદપુરના દશેરા મેદાનમાં તિગાંવથી ભાજપના ઉમેદવાર રાજેશ નાગરની ચૂંટણી જનસભાને સંબોધિત કરી રહ્યા હતા. અમિત શાહે પોતાના ભાષણમાં જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા અને કોગ્રેસના શાસનકાળ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. શાહે કહ્યું કે, ભાજપ સરકારે 370 હટાવી કાશ્મીરને દેશનું અંગ બનાવ્યું છે. કેન્દ્રમાં મોદી સરકારે આ સખ્ત પગલું ભર્યું છે. કોગ્રેસના લાંબા સમય સુધી દેશમાં રાજ કર્યું પરંતુ કોગ્રેસે પોતાની વોટબેન્કની રાજનીતિને લઇને કોઇ નક્કર પગલા ભર્યા નથી. અમિત શાહે કહ્યું કે, હવે જ્યારે ભાજપ સરકાર દેશહિતમાં એક પછી એક પગલા ઉઠાવી રહ્યા છીએ તો કોગ્રેસ તેનો વિરોધ કરી રહી છે.


અમિત શાહે પોતાના ભાષણમાં દેશભક્તિની સાથે સાથે વિકાસ પરિયોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો. શાહે કહ્યું કે કેન્દ્ર અને રાજ્યમાં ભાજપ સરકારે રેકોર્ડ વિકાસ કર્યો છે. અગાઉની કોગ્રેસ સરકારે 22 કરોડ રૂપિયા રાજ્ય સરકારને વિકાસ માટે આપ્યા હતા જ્યારે ભાજપની સરકારે 100 કરોડ રૂપિયાથી વધુ આપ્યા છે. આ દરમિયાન કેએમપી, કેજીપી, રેલ કોરિડોર, યમુના પર મંઝાવલી પુલના નિર્માણનો ઉલ્લેખ કર્યો છે. શાહે કહ્યું કે, દેશમાં જ્યારે એનઆરસી લાગુ કરવામાં આવી રહ્યું છે ત્યારે કોગ્રેસને તેનાથી તકલીફ છે.