ચિદમ્બરમે કર્યો લાખો રૂપિયાનો ગોટાળો, EDના દસ્તાવેજોમાં થયો મોટો ખુલાસો, જાણો વિગતે
abpasmita.in | 29 Aug 2019 09:49 AM (IST)
સીબીઆઇને મોકલેલા ઇડીના દસ્તાવેજોમાં લખ્યુ છે કે જે કંપનીને લાંચ રુશ્વતની રકમ મોકલવામાં આવી હતી, તે કંપનીએ ચિદમ્બરમના ટ્રસ્ટને લાખો રૂપિયા દાન આપ્યા હતા
નવી દિલ્હીઃ પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ સાથે જોડાયેલા INX મીડિયા કેસ મામલે મોટો ખુલાસો સામે આવ્યો છે. એબીપી ન્યૂઝ પાસે ઇડીના દસ્તાવેજો છે, જે અનુસાર આ મામલામાં લાંચની રકમના સીધા તાર ચિદમ્બરમ સાથે જોડાયેલા છે. ઇડીના આ પુરાવાઓ સીબીઆઇએ મંગાવ્યા હતા. સીબીઆઇ ચિદમ્બરમને કસ્ટડીમાં લઇને સતત પુછપરછ કરી રહી છે. વળી, 30 ઓગસ્ટ સુધી સીબીઆઇ કસ્ટડીમાં રહેશે. સુત્રો અનુસાર, સીબીઆઇને મોકલેલા ઇડીના દસ્તાવેજોમાં લખ્યુ છે કે જે કંપનીને લાંચ રુશ્વતની રકમ મોકલવામાં આવી હતી, તે કંપનીએ ચિદમ્બરમના ટ્રસ્ટને લાખો રૂપિયા દાન આપ્યા હતા. દસ્તાવેજો અનુસાર, નોર્થસ્ટાર કંપનીએ પલાનીઅપ્પા ચેટિયર ટ્રસ્ટને 33.05 લાખ રૂપિયાની રકમ ડૉનેશનમાં આપી હતી. ટ્રસ્ટનું પુરુ નામ L. Ct. L. Palaniappa Chettiar Trust બતાવવામાં આવી રહ્યુ છે. ઇડીના દસ્તાવેજ અનુસાર, આ ટ્રસ્ટના ટ્રસ્ટી પી ચિદમ્બરમ છે, આઇએનએક્સના દસ્તાવેજોમાં સ્પષ્ટ રીતે લખ્યુ છે કે, 26 સપ્ટેમ્બર, 2008એ નોર્થસ્ટાર કંપનીને 60 લાખ રૂપિયા આપ્યા હતા. સીબીઆઇએ ચિદમ્બરમને ટ્રસ્ટ વિશે પુછપરછ કરી છે. તપાસ એજન્સીઓ હવે ટ્રસ્ટના દસ્તાવેજો શોધવામાં લાગી છે. જો લાંચનો સીધો સંબંધ ચિદમ્બરમ સાથે હશે તો તેમની મુશ્કેલી વધી શકે છે.