નવી દિલ્હીઃ ભારતમાં ઇરાનના રાજદૂત અલી ચેગેનીએ કહ્યું કે, અમેરિકા સાથે તણાવને ઓછો કરવાની દિશામાં ભારતના પગલાનું ઇરાન સ્વાગત કરશે. ઇરાકની રાજધાની બગદાદમાં અમેરિકાના  ડ્રોન હુમલામાં ઇરાનના ટોચના  કમાન્ડર કાસિમ સુલેમાનીના માર્યા ગયા બાદ બંન્ને દેશો વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ છે.


ઇરાન દ્ધારા ઇરાક સ્થિત અમેરિકાના સૈન્ય બેઝ પર મિસાઇલ હુમલો કર્યાના થોડા કલાકો બાદ ચેગેનીએ આ નિવેદન આપ્યું હતું. ઇરાનના દૂતાવાસમાં સુલેમાની માટે આયોજીત શ્રદ્ધાંજલિ સભા બાદ ચેગેનીએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યુ કે. દુનિયામાં શાંતિ જાળવી રાખવામાં સામાન્ય રીતે ભારત ખૂબ સારી ભૂમિકા નિભાવે છે. સાથે જ ભારત આ ક્ષેત્રમાં છે. અમે તમામ દેશો ખાસ કરીને અમારા મિત્ર ભારત તરફથી એવા કોઇ પણ પગલાનું સ્વાગત કરીશું જે તણાવ ઓછો કરવામાં મદદરૂપ નિવડશે.

તેમણે કહ્યું કે, અમે યુદ્ધ ઇચ્છતા નથી. અમે ક્ષેત્રમાં તમામ લોકો માટે શાંતિ અને સમૃદ્ધિ ઇચ્છીએ છીએ. અમે ભારતના કોઇ પણ પગલા અને પરિયોજનાનું સ્વાગત કરીશું જે દુનિયામાં શાંતિ અને સમૃદ્ધિ લાવવામાં મદદરૂપ નીવડશે. ઇરાકમાં અમેરિકન સૈન્ય બેઝ પર ઇરાની હુમલાના સંબંધમાં ચેગેનીએ કહ્યુ કે, તેમના દેશે પોતાની સુરક્ષા કરવાના અધિકાર હેઠળ જવાબ આપ્યો છે.