નવી દિલ્હી: ચંદ્રયાન 2 મિશન દરમિયાન લેન્ડર વિક્રમથી ઈસરોનો સંપર્ક તૂટી ગયો હતો, જેને લઈને હાલ આંકડાઓનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ઈસરોના પ્રમુખ કે સિવને લેન્ડર વિક્રમને લઈને મોટી વાત કહી છે. કે સિવને એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા કહ્યું મિશન 95 ટકા સફળ રહ્યું, લેન્ડર સાથે બીજી વખત સંપર્ક કરવાના પ્રયાસ શરૂ છે. ઑર્બિટર સંપૂર્ણપણે ઠીક છે અને તેમા 7.5 વર્ષ સુધી કામ કરવાની ક્ષમતા છે. આ સાથે જ તેમણે કહ્યું કે ગગનયાન સહિત ઈસરોના તમામ મિશન નિર્ધારિત સમય પર પૂર્ણ થશે.


ઉલ્લેખનીય છે કે કાલે ભારત અંતરિક્ષમાં ઈતિહાસ રચવાની નજીક હતું ત્યારે ચંદ્રની સપાટીથી માત્ર 2.1 કિમી ઉપર ચંદ્રયાનનો ઈસરો સાથે સંપર્ક તૂટી ગયો હતો. ચંદ્રયાન 2 ઓર્બિટર અત્યારે પણ 140 કિમી ઉપર ચંદ્રનો સફળતાપૂર્વક ચક્કર લગાવી રહ્યું છે. ઓર્બિટર ISROને ત્યાંથી વિક્રમ લેન્ડરની તસવીરો મોકલી શકે છે.

વિક્રમથી ઈસરોનો સંપર્ક તૂટ્યા બાદ વૈજ્ઞાનિકોનો ઉત્સાહ વધારતા નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ભલે આજે અવરોધો આવ્યા હોય પણ તેનાથી આપણો ઉત્સાહ અને હિંમત નબળી પડી નથી પરંતુ તેમાં વધારો થયો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, આખો દેશ તમારી સાથે છે અને ગર્વ અનુભવી રહ્યો છે.