Andhra Pradesh : આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડી (Jagan Mohan Reddy) યુવાજન શ્રમિક રાયથુ કોંગ્રેસ પાર્ટી (YSRCP) ના આજીવન પ્રમુખ તરીકે ચૂંટાયા છે. શનિવારે પાર્ટી સંમેલનના બીજા અને છેલ્લા દિવસે આ જાહેરાત કરવામાં આવી હતી. YSRCPના જનરલ સેક્રેટરી વી. વિજયસાઈ રેડ્ડીએ, જેઓ પાર્ટી અધ્યક્ષની ચૂંટણી માટે રિટર્નિંગ ઓફિસર હતા, તેમણે જગન મોહન રેડ્ડીને પાર્ટીના આજીવન પ્રમુખ તરીકે સર્વસંમતિથી ચૂંટવાની જાહેરાત કરી.


પાર્ટીએ ચૂંટણી પંચ પાસેથી લેવી પડશે મંજૂરી 
YSRCP નેતાઓ વતી જગન મોહન રેડ્ડીએ શુક્રવારે કુલ 22 સેટ નોમિનેશન ફાઇલ કર્યા હતા. અન્ય કોઈ નેતાએ આ પદ માટે ઉમેદવારી નોંધાવી નથી. સ્ટેજ પર હાજર YSRCP નેતાઓએ જગન રેડ્ડીને તેમની ચૂંટણી પર અભિનંદન પાઠવ્યા હતા. YSRCP હવે ભારતના ચૂંટણી પંચ (ECI)ને જાણ કરશે કે તેણે જગન રેડ્ડીને YSRCP પ્રમુખ તરીકે ચૂંટવા માટે તેના બંધારણમાં સુધારો કર્યો છે.પાર્ટીના નેતાઓને ECIની મંજૂરી મળવાનો વિશ્વાસ છે. તેમણે ડીએમકેના કેસને ટાંક્યો, જેને ચૂંટણી પંચ દ્વારા એમ. કરુણાનિધિને આજીવન પક્ષના વડા તરીકે નામાંકિત કરવાની મંજૂરી આપવામાં આવી હતી.


જગન મોહન અધ્યક્ષ  તરીકે માતા સાથે કામ કરતા હતા
આંધ્રપ્રદેશના સીએમ જગન મોહન રેડ્ડીએ કોંગ્રેસ છોડ્યા બાદ માર્ચ 2011માં YSRCPની સ્થાપના કરવામાં આવી હતી. શરૂઆતથી જ તેઓ તેમની માતા વિજયમ્મા સાથે પાર્ટીના અધ્યક્ષ તરીકે સેવા આપતા હતા. અગાઉ, જગન મોહન રેડ્ડી છેલ્લે 2017માં પાર્ટીની પૂર્ણ બેઠકમાં YSRCPના અધ્યક્ષ  તરીકે ચૂંટાયા હતા.


વિજયમ્માએ પાર્ટીના માનદ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું હતું
તેમની માતા વિજયમ્માએ શુક્રવારે પાર્ટીના માનદ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું. આ પ્રસંગે તેણે કહ્યું હતું કે તે તેલંગાણામાં તેની પુત્રી શર્મિલા સાથે કામ કરવા YSRCP  છોડી રહી છે. જગનમોહન રેડ્ડીની બહેન શર્મિલા પડોશી તેલંગાણા રાજ્યમાં YSR તેલંગાણા પાર્ટીનું નેતૃત્વ કરી રહી છે.