નવી દિલ્હીઃ 2008 જયપુર બોમ્બ બ્લાસ્ટ કેસમાં આજે કોર્ટે ચુકાદો આપ્યો છે. આ મામલે તમામ પાંચ આરોપીઓને કોર્ટે દોષી જાહેર કર્યા છે. આ સીરિયલ બોમ્બ બ્લાસ્ટ બાદ રાજસ્થાનના તત્કાલીન ભાજપ સરકારે આરોપીઓને પકડવા માટે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ)ની રજના કરી હતી.


રાજસ્થાનની રાજધાની જયપુરમાં 13 મે, 2008ના રોજ સીરિયલ બ્લાસ્ટ થયા હતા. અલગ અલગ જગ્યાએ થયેલ 8 બ્લાસ્ટે સમગ્ર જયપુરને હચમચાવી મૂક્યુ હતું. આ ઘટનામાં 71 લોકોના મોત થયા હતા અને 176 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

આ સીરિયલ બ્લાસ્ટ માત્ર 15 મિનિટમાં 8 અલગ અલગ જગ્યાએ થયા હતા. બ્લાસ્ટ સાંજે 7 કલાકને 10 મિનિટે ચાંદપોલ હનુમાન મંદિર પાસે થયા હતા. બીજો બ્લાસ્ટ સાંગાનેરી ગેટ હનુમાન મંદિર પાસે થયો હતો.

ત્યાર બાદ મોટી ચોપડ, જોહરી બજાર, નાની ચોપડ અને ત્રણ અન્ય જગ્યાએ બ્લાસ્ટ થયા હતા. બોમ્બ બ્લાસ્ટ બાદ રાજ્ય સરકારની  ભલામણના આધારે હાઈ કોર્ટે બોમ્બ બ્લાસ્ટ સાથે જોડાયેલ કેસની સુનાવણી કરવા માટે વિશેષ કોર્ટ બનાવી હતી.

આ મામલે સનાવણી વિતેલા મહિને જ પૂરી થઈ ગઈ હતી. સુનાવણી પૂરી થયા બાદ જજે કેસમાં ચુકાદો અનામત રાખ્યો હતો.