નવી દિલ્હીઃ અયોધ્યા ચુકાદા પર સુપ્રીમ કોર્ટમાં મુસ્લિમ સંસ્થા તરફથી આજે રિવ્યૂ પિટિશન દાખલ કરવામાં આવી હતી. જમીયત-ઉલેમા-એ હિંદ તરફથી આ રિવ્યૂ પિટિશન દાખલ કરવામાં આવી છે. આ અગાઉ એવા રિપોર્ટ હતા કે બાબરી મસ્જિદની વરસી પર છ ડિસેમ્બરના રોજ જમીયત-ઉલેમા-એ હિંદ સુપ્રીમ કોર્ટના અયોધ્યા ચુકાદા પર રિવ્યૂ પટિશન દાખલ કરશે. જમીયત તરફથી દાખલ રિવ્યૂ પિટિશનમાં ચુકાદામાં રહેલા અંતવિરોધોનો આધાર બનાવવામાં આવ્યા છે.


પિટિશન અનુસાર, કોર્ટની ટિપ્પણીને ટાંકીને મસ્જિદ તોડી પાડવાનો ઉલ્લેખ અરજીમાં કરવામાં આવ્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે માનનીય કોર્ટે પોતાના ચુકાદામાં મસ્જિદ તોડી પાડવાને દોષપૂર્ણ કૃત્ય ગણાવ્યુ હતું. તેમ છતાં ચુકાદો હિંદુ પક્ષની તરફેણમાં ગયો હતો.

જમીયતના યુપી જનરલ સેક્રેટરી મૌલાના અશદ રશીદી તરફથી દાખલ કરવામાં આવી છે જે અયોધ્યા મામલામાં મુસ્લિમ પક્ષના 10 અરજીકર્તાઓમાંથી એક છે. ત્રણ સપ્તાહ અગાઉ જ સુપ્રીમ કોર્ટે અયોધ્યા વિવાદ પર ચુકાદો આપ્યો હતો. ચુકાદા બાદ કેટલીક મુસ્લિમ સંસ્થાઓએ અપીલ નહી કરવાની વાત કરી હતી પરંતુ આજે રિવ્યૂ પિટિશન દાખલ કરવામાં આવી હતી.

આ અગાઉ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ બોર્ડે પણ રિવ્યૂ પિટિશન દાખલ કરવાની જાહેરાત કરી છે. બોર્ડે એક નિવેદનમાં કહ્યું કે, પોતાના બંધારણના અધિકારનો ઉપયોગ કરતા ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં અમે બાબરી મસ્જિદ કેસમાં રિવ્યૂ પિટિશન કરવા જઇ રહ્યા છીએ. સુન્ની વકફ બોર્ડની અરજી નહી આપવાના નિર્ણયની કાયદાકીય રીતે કોઇ અસર નહી થાય.