નવી દિલ્હી: કાલે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની આગેવાનીમાં કેબિનેટની બેઠક મળશે. સામાન્ય રીતે કેન્દ્રીય કેબિનેટની બેઠક બુધવારે મળે છે. પરંતુ આ વખતે સોમવારે સંસદના સત્ર પહેલા યોજાવાની છે. જમ્મુ કાશ્મીરને લઈને દિલ્હીથી લઈને શ્રીનગર સુધી હલચલ તેજ છે. ફારૂક અબ્દુલ્લાના ઘરે તમામ રાજકીય પક્ષોની બેઠક યોજાઈ હતી.  નેશનલ કૉંફ્રેસના અધ્યક્ષ ફારૂક અબ્દૂલ્લાએ કહ્યું, જમ્મુ-કાશ્મીરના રાજકીય પક્ષો 370ને રદ્દ કરવા, રાજ્યને ત્રણ હિસ્સામાં બાંટવા અથવા સિમાંકનના કોઈપણ પગલાનો વિરોધ કરીશું. તેમણે જમ્મુ કાશ્મીર અને લદાખના લોકોને દરેક પરિસ્થિતિમાં શાંતિ રાખવાની અપીલ કરી હતી.


જમ્મુ-કાશ્મીરમાં સૈન્યની મોટા પાયે તૈનાતીથી સર્જાયેલી અફરાતફરી અસમંજસની સ્થિતિ હજુ પણ યથાવત છે. કેબિનેટની બેઠકમાં જમ્મુ-કાશ્મીર મુદ્દે કોઇ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતાઓ છે. આજે ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં જમ્મુ-કાશ્મીર મુદ્દે સંસદમાં બેઠક યોજાઇ. જેમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ તેમજ અન્ય સુરક્ષા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં પણ ફારૂક અબ્દુલ્લાના ઘરે તમામ રાજકીય પક્ષોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ફારૂક અબ્દુલ્લા, ઉમર અબ્દુલ્લા, જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તી, તાજ મોહીઉદ્દીન, મુઝફ્ફર બેગ, સજ્જાદ લોન અને ઈમરાન અંસારી, શાહ ફૈસલ અને એમવાઈ તારીગામી પણ સામેલ થયા હતા.