જમ્મુ: કોરોના વાયરસની મહામારીના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉન બાદ 8 જૂનથી અનલૉક 1 શરૂ થઈ રહ્યું છે. અનલૉક-1માં દેશભરમાં ધાર્મિક સ્થળો ખોલવાની ચર્ચા ચાલી રહી છે, પરંતુ શું 8 જૂનથી માતા વૈષ્ણવ દેવીની યાત્રા શરુ થશે કે નહીં તેના પર અટકળો છે. તેની વચ્ચે વૈષ્ણ દેવીની યાત્રામાં હેલીકોપ્ટર સેવાનું ભાડુ વધારી દેવામાં આવ્યું છે.


વૈષ્ણવ દેવીના દર્શનાર્થીઓ માટે હેલીકોપ્ટરના ભાડામાં 65 ટકાનો વધારો કરાયો છે. આ હેલીકોપ્ટર સેવા માટે નવા ટેન્ડરની પ્રક્રિયા પૂરી થયા બાદ વધારાનુ ભાડુ 1 એપ્રિલ 2020થી લાગુ થશે. એટલે કે આ સેવા જ્યારે શરુ થશે ત્યારે, શ્રદ્ધાળુઓએ આ વધારાનું ભાડુ ચુકવવું પડશે. હાલમાં હેલીકોપ્ટરનું ભાડુ 1045 રૂપિયા પ્રતિ સવારીના હતા. જે વધીને 1730 રૂપિયા કરી દીધાં છે. અગાઉ હેલીકોપ્ટરથી આવવા જવા માટેનું ભાડુ 2090 રૂપિયા હતું, હવે શ્રદ્ધાળુઓએ 3460 રૂપિયા ચુકવવા પડશે.

વૈષ્ણ દેવી યાત્રા માટે પોતાની સેવા આપી રહેલી હિમાલયન હેલી તથા ગ્લોબલ વેક્ટ્રા કંપનીઓનું ટેન્ડર દર 3 વર્ષે રિન્યૂ થાય છે. નવા ટેન્ડર પ્રમાણે અગાઉથી શ્રદ્ધાળુઓને સેવાઓ આપી રહેલી આ બન્ને હેલીકોપ્ટર કંપનીઓ પોતાની સેવા યથાવત રાખશે.

માતા વૈષ્ણવ દેવીની યાત્રાનું સંચાલન કરનાર શ્રીમાતા વૈષ્ણવદેવી શ્રાઈન બોર્ડે સ્પષ્ટ કરી દીધું છે કે, યાત્રા શરૂ કરવાનો અંતિમ નિર્ણય બોર્ડનો રહેશે. બોર્ડે દાવો કર્યો છે કે, હાલમાં દિશાનિર્દેશોની રાહ જોવાઈ રહી છે, જે ધર્મસ્થળોની યાત્રા શરૂ કરવા પહેલા સ્વાસ્થ્ય વિભાગ જાહેર કરવાનું છે.