જમ્મુ-કાશ્મીર: કુલગામ અથડામણમાં જવાનોએ 3 આતંકીને કર્યા ઠાર, ઓપરેશનમાં DSP શહીદ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 24 Feb 2019 06:13 PM (IST)
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. જાણકારી મુજબ સુરક્ષાદળે ત્રણ આતંકીને ઠાર કર્યા છે. આ ઘટનામાં આર્મીના મેજર સહિત બે જવાન ઘાયલ થયા છે, જ્યારે જમ્મુ કાશ્મીરના DSP અમન ઠાકુર શહીદ થયા છે. સેના અને સીઆરપીએફની એક સંયુક્ત ટીમે તૂરીગામમાં ખૂફિયા ઇનપુટ બાદ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સુરક્ષાદળને સૂચના મળી હતી કે 2થી 3 આતંકી આ વિસ્તારમાં છૂપાયેલા છે. આ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળના જવાનો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જવાબમાં સેનાએ પણ ફાયરિંગ કર્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અથડામણ થયું તે વિસ્તારને આર્મી દ્વારા કોર્ડન કરવામાં આવ્યો છે, હાલ સેના દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ છે. ઉલ્લેખનીય છે કે 22 ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરના સોપોરમાં સેના સાથે અથડામણમાં એક આતંકી ઠાર મરાયો હતો. વાંચો: જમ્મુ-કાશ્મીરમાં કંઈક મોટું થવાની સંભાવના? છેલ્લા 24 કલાકમાં કાશ્મીરની પરિસ્થિતિ બદલાઈ, જાણો વિગત