શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના કુલગામમાંથી શુક્રવારે અપહરણ કરાયેલા પોલીસ કોન્સ્ટેબલ મોહમ્મદ સલીમ શાહની આંતકીઓએ હત્યા કરી દીધી છે. તેનો મૃત્યદેહ કઈમોહ વિસ્તારમાંથી મળ્યો હતો. મુતદેહ પર ગોળીઓના નિશાન છે. પોલીસે જણાવ્યું કે, કૉન્સ્ટેબલ સલીમ શાહને દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લા સ્થિત તેના ઘર પરથી આતંકીઓએ અપરહણ કર્યું હતું. સલીમ ત્યારે રજાઓ માણવા પોતાના ઘરે આવ્યા હતા.

સલીમ શાહ જમ્મુ-કાશ્મીર પોલીસમાં એસપીઓ તરીકે તૈનાત હતા. થોડાક દિવસ પહેલા જ તેમનું પ્રમોશન થયું હતું. જણાવી દઈએ કે, બે મહિનામાં આ ત્રીજી ઘટના છે, જ્યારે આતંકીઓએ કોઈ જવાનનું અપહરણ કરી તેની હત્યા કરી દીધી હોય. આ પહેલાં આતંકીઓએ 6 જુલાઈનાં રોજ શોપિયાં જિલ્લામાં કોન્સ્ટેબલ જાવેદ અહેમદ ડાર અને 14 જૂને કલમપોરામાં સેનાના જવાન ઔરંગઝેબનું અપહરણ કરી તેની હત્યા કરી દીધી હતી.