શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના કુલગામ અને પુલવામા જિલ્લામા મંગળવારે અલગ અલગ બે જગ્યાએ થયેલી અથડામણમાં સેનાએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. જ્યારે એક જવાન શહીદ થઈ ગયો છે અને બે ઘાયલ થઈ ગયા છે. કુલગામ અથડામણમાં આતંકાવાદી સંગઠન લશ્કર એ-તૈયબાના બે આંતકીઓ માર્યા ગયા છે.
પોલીસના એક અધિકારીના જણાવ્યા અનુસાર સુરક્ષા દળોએ કુલગામ જિલ્લાના રેડવાની વિસ્તારમાં મોડી રાતે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તેમણે જણાવ્યું કે આ વિસ્તારમાં આતંકીઓ હોવાની જાણકારી મળી હતી તેના બાદ આ અભિયાન શરુ હતું.


અધિકારીએ જણાવ્યું કે સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું અને સેનાએ પણ વળતો જવાબ આપ્યો હતો. ઘાયલ જવાનોમાંથી એકનું હોસ્પિટલમા મોત નીપજ્યું હતું. શહીદ જવાનની ઓળખ પ્રકાશ જાધવ તરીકે થઈ છે.
કુલગામમાં માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ લશ્કર-એ તૈયબાના એઝાઝ અહમદ મકરુ અને વારિસ અહમદ મલિક તરીકે થઈ છે.