રાંચીઃ ઝારખંડ સરકારે રજનીગંધા, પાન પરાગ સહિત 11 બ્રાંડના પાન મસાલના ઉત્પાદન, વિતરણ તથા વેચાણ પર એક વર્ષ માટે પ્રતિબંધ મૂકી દીધો છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી બન્ના ગુપ્તાએ જણાવ્યું કે, આ પ્રતિબંધ વિવિધ જિલ્લામાં પાન મસાલાના 41 નમૂનાની તપાસમાં મેગ્નેશિયમ કાર્બોનેટ મળી આવ્યા બાદ લગાવવામાં આવ્યો છે.


નમૂનાની તપાસ દરમિયાન ખબર પડી કે, સ્વાદ વધારવા તથા ખાવાનો ચસકો લગાડવા માટે મેગ્નીશનયિમ કાર્બોનેટ મેળવવામાં આવ્યા છે. જેના ઉપયોગથી હાર્ટ અટેક તથા એક્યૂટ હાઈપરટેંશનની સાથે અન્ય ગંભીર બીમારીઓ થવાનો ખતરો વધી જાય છે. ફૂડ સેફટી એક્ટ અનુસાર આ પ્રતિબંધિત છે. આદેશમાં જણાવવામાં આવ્યું કે, લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ પ્રતિબંધ હાલ એક વર્ષ પૂરતો લગાવવામાં આવ્યો છે.

એક વર્ષ દરમિયાન તમામ પ્રતિબંધિત પાન-મસાલાના ગેરકાયદેસર વેચાણ કરવા પર ફૂડ એન્ડ સેફ્ટી એક્ટ અંતર્ગત કાનૂની કાર્યવાહી કરાશે. રાજ્યમાં તમાકુવાળા પાન મસાલા પર પહેલાથી જ પ્રતિબંધ છે. જ્યારે ગત 22 એપ્રિલથી બીડી, સિગરેટ, સોપારી, તમાકુ વગેરે ઉત્પાદનોના ઉપયોગ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ઉપરાંત જ્યાં-ત્યાં થૂંકવા પર દંડની પણ જોગવાઈ લાગુ કરવામાં આવી છે.

આ બ્રાંડ પર લગાવ્યો પ્રતિબંધ

રજનીગંધા, વિમલ, શિખર, પાન પરાગ, દિલરુબા, રાજનિવાસ, સોહરત, મુસાફિર, મધુ, બહાર, પાન પરાગ પ્રીમિયમ