MP Congress New Chief Jitu Patwari:  મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં હાર બાદ કોંગ્રેસે સંગઠનમાં મોટા ફેરફારો કર્યા છે. પાર્ટીએ કમલનાથને  કોંગ્રેસના અધ્યક્ષ પદેથી હટાવીને જીતુ પટવારીને નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. જ્યારે ઉમંગ સિંઘારને વિપક્ષના નેતા અને હેમંત કટાનેને વિપક્ષના ઉપનેતાની જવાબદારી સોંપવામાં આવી છે. આ પહેલા ગોવિંદ સિંહ વિપક્ષના નેતા હતા.


પટવારી અને ઉમંગ બંને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ કમલનાથ અને દિગ્વિજય સિંહના વિરોધી છાવણીમાંથી માનવામાં આવે છે. મધ્યપ્રદેશ ચૂંટણીમાં હાર બાદથી એવી વાતો ચાલી રહી હતી કે પાર્ટીમાં મોટા ફેરફારો થશે.


ચરણદાસ મહંત છત્તીસગઢમાં વિપક્ષના નેતા તરીકે નિયુક્ત


કોંગ્રેસે પૂર્વ વિધાનસભા અધ્યક્ષ ચરણદાસ મહંતને છત્તીસગઢમાં વિરોધ પક્ષના નેતા બનાવ્યા છે. પ્રદેશ પ્રમુખ તરીકે દીપક બૈજને યથાવત રાખવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે છત્તીસગઢમાં બીજેપીના આદિવાસી સીએમ કાર્ડનો મુકાબલો કરવા માટે કોંગ્રેસે વિપક્ષના નેતા અને પ્રદેશ અધ્યક્ષ બંનેને આદિવાસી સમુદાયમાંથી બનાવ્યા છે.


જીતુ પટવારીને હારનો સામનો કરવો પડ્યો હતો


તમને જણાવી દઈએ કે જીતુ પટવારીને મધ્યપ્રદેશની રાઉ વિધાનસભા બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો હતો. તેમને ભાજપના મધુ વર્માએ 35 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા. પટવારી 2013 અને 2018ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પરથી જીત્યા હતા.


મધ્યપ્રદેશની 230 બેઠકોમાંથી ભાજપે 163 બેઠકો જીતી છે અને પાર્ટીએ મોહન યાદવને મુખ્યમંત્રી બનાવ્યા છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર 66 સીટો જીતી શકી હતી. આ સાથે જ છત્તીસગઢમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. અહીં પાંચ વર્ષ સુધી સત્તામાં રહેલી પાર્ટીને 90માંથી 35 બેઠકો મળી હતી. જ્યારે ભાજપે 54 બેઠકો જીતી હતી. પાર્ટીએ વિષ્ણુ દેવ સાંઈને મુખ્યમંત્રી બનાવ્યા છે.  


મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી કમલનાથના નેતૃત્વમાં લડવામાં આવી હતી. પરંતુ તેમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. હાર બાદથી એવી અટકળો ચાલી રહી હતી કે કમલનાથ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ પદ છોડી શકે છે. કમલનાથે દિલ્હીમાં પાર્ટીના અધિકારીઓ સાથે પણ મુલાકાત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠક બાદ હાઈકમાન્ડે કમલનાથને મધ્યપ્રદેશમાં નવા પ્રમુખની નિમણૂક કરવાની સૂચના આપી હતી. જીતુ પટવારી મધ્યપ્રદેશ કૉંગ્રેસના દિગ્ગજ નેતા છે. પ્રદેશમાં કાર્યકર્તાઓમાં તેમની મજબૂત પકડ છે.