નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ હવે સરકાર ઘાટીમાં આતંકના નેટવર્કને જડમૂડથી ખત્મ કરવાનો પ્રયાસ કરી રહી છે. સંરક્ષણ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે, સૈન્ય, એરફોર્સ અને નેવીના સ્પેશ્યલ ફોર્સેસને એક સાથે કાશ્મીરમાં તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં જ બનેલી આર્મ્ડ ફોર્સેસ સ્પેશ્યલ ઓપરેશન ડિવીઝન એટલે કે AFSOD હેઠળ ત્રણેય સેનાઓની સ્પેશ્યલ ફોર્સેસને એક સાથે તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત એક અધિકારીએ જણાવ્યું કે, એવું નથી કે નેવી અને એરફોર્સના સ્પેશ્યલ ફોર્સેસને પ્રથમવાર કાશ્મીરમાં ઓપેરશન માટે તૈનાત કરવામાં આવ્યા છે પરંતુ આ પ્રથમવાર હશે જ્યારે AFSOD હેઠળ તમામ સ્પેશ્યલ ફોર્સેસ એક સાથે મળીને કામ કરશે. AFSODમાં સૈન્યના પેરા કમાન્ડો, નેવીના માર્કોસ અને એરફોર્સના ગરુડ કમાન્ડો સામેલ કરવામાં આવ્યા છે. સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત એક અધિકારીએ કહ્યું કે સ્પેશ્યલ ફોર્સને શ્રીનગર અને તેની આસપાસના વિસ્તારોમાં ઓપરેશનની જવાબદારી આપવામાં આવશે.

એરફોર્સના ગરુડ કમાન્ડો અગાઉથી જ કાશ્મીરના હાઝિન વિસ્તારમાં તૈનાત છે. જ્યારે માર્કોસ લોલાબ સહિત અનેક વિસ્તારોમાં અગાઉ પણ અનેક ઓપરેશન પાર પાડી ચૂક્યા છે. એનએસજીની એન્ટી ટેરર 51 એસએજીની ટીમ એક વર્ષથી વધુ ઘાટીમાં હાજર છે જેને અત્યાર સુધી ઘાટીમાં કોઇ પણ એન્ટી ટેરર ઓપરેશનમાં ઉપયોગ કરવામાં આવ્યો નથી. 51 એસએજી એનએસજીની એન્ટી ટેરર ફોર્સ છે જેમાં લગભગ 100 કમાન્ડો કાશ્મીરમાં તૈનાત કરવામાં  આવ્યા છે. આ કમાન્ડો પેનિટ્રેશન રડારની સાથે સાથે ઘાતક હથિયારોથી લેસ છે જેમાં લગભગ 30 સ્નાઇપર પણ છે.